રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 199 થઈ ગઈ, આજે વધુ 30 કેસ બહાર આવ્યા, દાબતા પગે કોરોનાનો ફરી પગપેસારો
આજે કોરોનાને કારણે એકપણ દર્દીનું મૃત્યુ નહી
કોરોનાગ્રસ્ત 6 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ
વડોદરામાં 7 કેસ, અમદાવાદમાં 5 કેસ, વલસાડમાં 4 કેસ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 30 કેસ નોંધાતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 199 થઈ ગઈ છે. જ્યારે કોરોનાગ્રસ્ત 6 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. સારા સમાચાર એ છે કે કોરોનાને કારણે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી પણ રાજ્યભરમાં અત્યાર સુધી 10090 મૃત્યુ કોરોનાને લીધે થઈ ચૂક્યા છે.27 દર્દીઑ કોરોનાને માત આપી હેમખેમ પરત ફર્યા છે.
જો ગુજરાતમાં કોરોનાના અત્યાર સુધીના કુલ ડિસ્ચાર્જ કેસની વાત કરીએ તો 816338 દર્દીઓ એટલે કે 98.76 ટકા દર્દીઓ તદુરસ્ત થઈ ઘરે પરત ફર્યા છે. આજે વડોદરામાં 7 કેસ, અમદાવાદમાં 5 કેસ, વલસાડમાં 4 કેસ, જુનાગઢમાં 6 કેસ, નવસારીમાં 3 કેસ, સુરતમાં 3 કેસ, કચ્છ અને રાજકોટમાં કોરોનાના એક-એક કેસ એમ કુલ 30 કેસ કોરોનાના સામે આવ્યા છે.
અત્યાર સુધી રાજ્યમાં રસીના 7.13 કરોડથી વધુ ડોઝ રસીના અપાઈ ચૂક્યા છે. આજે 3.02 લાખ નાગરિકોનું આજે રસીકરણ કરવામાં આવ્યું છે.
હજુ કોરોના ગયો નથી..!
ગુજરાત અને ભારતમાં હાલ કોરોનાનું સંક્રમણ કાબૂમાં છે, દેશ અગાઉ કોરોનાની બીજી લહેરનો સામનો કરી ચૂક્યો છે. તેવામાં હવે દિવાળીના તહેવારો નજીક આવતા ખુશીની સાથે ચિંતા પણ છે. કારણ કે વિશ્વના કેટલાક દેશોમાં વેક્સિનની પ્રક્રિયા મોટા ભાગની આટોપી લેવાઈ હોવા છતાં પણ કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ શરૂ થઇ ચૂક્યો છે. રશિયામાં હાલ મોટા પ્રમાણમાં કોરોના ફેલાયો છે, ત્યારે જો આપણે તહેવારોમાં ગાઇડલાઇનનું પાલન અને કાળજી નહીં રાખીએ તો ફરી મુસીબત શરૂ થશે. આજે રાજ્યમાં કોરોનાના વધુ 30 કેસ નોંધાયા પણ હાલના કેસ તો બીજી લહેરની સમાનતામાં ના બરોબર કહેવાય પણ જો સચેત નહીં રહીએ અને માસ્ક અને સોશિયલ અંતર નહીં રાખીએ એ દિવસ પણ દૂર નથી કે કોરોના ભયંકર ત્રીજી લહેર દસ્તક આપે.
કોરોનાની કામગીરીની PM મોદી જિલ્લા વાઈઝ સમીક્ષા કરશે
G20 શિખર સંમેલન અને COP26માં ભાગ લીધા ભારત પાછા ફર્યા બાદ તાત્કાલીક પીએમ નરેન્દ્ર મોદી પોતાના કામમાં લાગી ગયા છે. પીએમ મોદી બુધવારે બપોરે 12 વાગે દેશમાં તે જિલ્લાઓની સમીક્ષા કરશે જ્યાં કોરોના રસીકરણનું કવરેજ ઓછું છે. સરકાર સતત રસીકરણના પ્રત્યે લોકોને જાગૃત કરવા અને વધારેમાં વધારે લોકોનું રસીકરણ કરવામાં લાગી છે.પીએમઓ કાર્યાલયના એક સત્તાવાર નિવેદન અનુસાર, આ બેઠકમાં પહેલા ડોઝના 50 ટકાથી પણ ઓછા અને કોરોનાના બીજા ડોઝની ઓછા કવરેજ વાલા જિલ્લા સામેલ છે. ઉલ્લેખનીય છે કે પીએમ ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ , અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલયના ઓછા રસીકરણ વાળા જિલ્લાના 40થી વધારે જિલ્લાના જિલ્લાધિકારીઓની સાથે વાતચીત કરશે.