ગીર સોમનાથ જિલ્લાનાં સમુદ્રી તટ પર આગામી એક કે બે દિવસમાં ત્રાટકનારા સંભવિત વાવાઝોડા તૌકતેનાં આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્રએ તમામ તાકાત કામે લગાવી છે.24 ગામ અને 3 શહેરો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.વેરાવળની સમુદ્ર સીમામાં કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર મધ્યમાં જઇ માછીમારોને પરત ફરવા સંદેશ અપાયો છે.
વેરાવળ બંદર પર 2 નંબર સિગ્નલ લગાવાયું
ગીર સોમનાથ જિલ્લાનાં વડામથક વેરાવળ બંદર પર 2 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું છે.જેના પગલે વેરાવળ બંદર પર બોટોનો ખડકલો થયો છે. બંદરની મોટા ભાગની બોટ પર પરત ફરી છે. 70 જેટલી બોટ દરિયામાં હોય તેને પરત લાવવા તંત્ર કટિબદ્ધ બન્યું છે.જેના પગલે હજુ ઘણી બોટો બંદર તરફ આવી રહી છે.
રિઝર્વ પાવર સપ્લાયની વ્યવસ્થા કરાઈ
વાવાઝોડાની સંભાવનાને લઈ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અગત્યની બેઠક યોજાઈ હતી.વર્તમાન કોરોનાની મહામારી માં તમામ દુર્ગમ પરિસ્થિતિમાં કોવિડ હોસ્પિટલો, અને આરોગ્ય કેન્દ્રો પર દર્દી ઓની સારવારમાં કોઈપણ અડચણ ન આવે તેના માટે તંત્ર દ્વારા તમામ હોસ્પિટલમાં રિઝર્વ પાવર સપ્લાયની વ્યવસ્થા કરાઈ રહી છે તેમજ નીચાણ વાળા વિસ્તારમાં લોકોના કોરોના ટેસ્ટ કરીને પોઝિટિવ દર્દીઓને અલગ તારવીને બાકીના લોકોને સાયક્લોન સેન્ટર અને શાળાઓમાં સ્થળાંતર કરવા માટેની પણ તંત્રએ તમામ વ્યવસ્થા હાથ ધરી છે.
શહેરો અને ગામડાઓને એલર્ટ કરાયા
જિલ્લામાં 24 ગામડા અને 03 શહેરો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તેમજ બે NDRF અને એક SDRF ની ટીમ રાઉન્ડ ધી ક્લોક તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લાનાં દરિયા કાંઠાનાં વિસ્તારમાં 12 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવાની સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તમામ નાગરિકોનું યુદ્ધનાં ધોરણે કોરોના ટેસ્ટિંગ હાથ ધરાશે. જિલ્લામાં પાંચ દિવસ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાશે.
સુરક્ષા સમીક્ષા મુદ્દે મળી બેઠક
મહત્વનું છે કે જિલ્લા વિકાસ અધિકારી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી જેમાં એસ.પી.,ડે.કલેક્ટર, મામલતદારો,ટી.ડી.ઓ.,ચીફ ઓફિસરો સહિત દરેક વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં તૌકતે વાવાઝોડાંને લઈ આગમી આયોજન કરવામાં આવ્યું છે ઓછી જાનહાની થાય તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવી છે.