ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કંઈ ઓછું પડે તો અલ્પેશનો વાંક ન કાઢતા મારા અને શંભુજીના કાન પકડજો.
બીજા તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ
ગાંધીનગરમાં અમિત શાહની યોજાઈ જાહેર સભા
અલ્પેશ ઠાકોરને લઈને આપી મોટી ગેરંટી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરુ થઈ ચૂક્યું છે. 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને આજે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જેથી મતદારોને પોતાની તરફ કરવા માટે દિગ્ગજ નેતાઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. એવામાં ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધી હતી.
આ વિસ્તારનો વિકાસ એવોને એવો થશેઃ અમિત શાહ
ગાંધીનગર ખાતે જાહેર સભામાં અમિત શાહે જણાવ્યું હતું કે, 'શંભુજીભાઈ ઓછું બોલવાવાળા પરંતુ ચૂપચાપ કામ કરવાવાળા ધારાસભ્ય છે. મારા પછી શંભુજીભાઈ આવ્યા અને શંભુજી પછી અલ્પેશજીને પાર્ટીએ નક્કી કર્યા છે. અલ્પેશજી બાબતમાં હું એટલું જ કહું છું કે કંઈ ઓછું પડે તો અલ્પેશનો વાંક ન કાઢતા મારા અને શંભુજીના કાન પકડજો. મારી ગેરંટી છે કે આ વિસ્તારનો વિકાસ એવોને એવો થશે.'
અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ કોંગ્રેસીયાઓએ અત્યાર સુધી જાતિ-જાતિ વચ્ચે ઝેર ફેલાવું, કોમી તોફાનો કરવા અને વિકાસના નામે મીડું એવું મોડલ આપ્યું હતું, પરંતુ એની જગ્યાએ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાતને કોમી તોફાનોની આગમાંથી બહાર કાઢ્યું. શાંતિ-સલામતી અને ગ્રામીણ વિકાસ-શહેરી વિકાસમાં સમગ્ર દેશની અંદર આદર્શ સ્થાપિત થાય એવી વ્યવસ્થા અહીંયા ગુજરાતમાં નરેન્દ્રભાઈએ કરી છે. હું તો દેશભરમાં ફરું છું, દેશભરમાં કોઈ જગ્યાએ આ પ્રકારના શહેરી વિકાસની વાત જોવા મળતી નથી.
પ્રચારનો અંતિમ દિવસ
આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બીજા તબક્કાના મતદાનના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે રાજકીય પક્ષો-ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવશે. પ્રચારના અંતિમ દિવસે ઉમેદવારો અને રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો વિવિધ જગ્યાએ રેલીઓ અને સભાઓ ગજવશે. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારો સોશિયલ મીડિયામાં વધુ સક્રિય થઈ જશે.
ત્રણેય પાર્ટીના નેતા કરશે પ્રચાર
આજે ભાજપ-કોંગ્રેસ-AAPના નેતાઓ જનસભાઓ ગજવશે. UPના CM યોગી આદિત્યનાથની આજે 3 જનસભા યોજાશે. જ્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા 3 જિલ્લામાં પ્રચાર કરશે, તો આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અરવલ્લી અને પાટણમાં રોડ-શૉ કરશે. બીજા તબક્કા માટે કોંગ્રેસ નેતાઓ પણ જનસભા ગજવશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 4 જગ્યાએ રોડ-શૉ કરશે.