આતંકવાદીઓ પેદા કરવામાં પાકિસ્તાન હમેશા મોખરે રહ્યું છે ત્યારે તેની વધુ એક નાપાક હરકત સામે આવી છે. આ વખતે તો પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIએ પોતાની હદ વટાવી દીધી છે.
મળતી માહિતી મુજબ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ આતંકી સંગઠનોને પાકિસ્તાન કાશ્મીરમાં તબાહી મચાવવા માટે વિશેષ ટ્રેનિંગ આપી રહ્યું છે.
આ સિવાય પાકિસ્તાન આતંકીઓને ટ્રેનિંગ આપીને ભારત મોકલે છે. આ સાથે POKમાં ટ્રેનિંગ કેમ્પ ચલાવવા આતંક માટે ફંડ એકત્ર કરવું અને આતંકનાં આકાઓને પણ આશરો આપી રહ્યું છે.
પાકિસ્તાન હાલ પોતાની જેલમાં બંધ તહરીક-એ-તાલિબાનનાં આતંકીઓને અમુક શરત પર છોડી રહ્યાં છે કે તેઓ જેલમાંથી આઝાદ થયાં બાદ કાશ્મીર ખીણ વિસ્તારમાં જઈને જેહાદનાં નામે લડે. ગુપ્ત વિગતો મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI આ કેદીઓને જૈશ-એ-મોહમ્મદનાં બેનર હેઠળ જેહાદ ફેલાવવા માટે તૈયાર કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે તહરીક-એ-તાલિબાન એ જ આતંકી સંગઠન છે કે જેણે 2014માં પાકિસ્તાનનાં પેશાવરની એક આર્મી સ્કૂલમાં ફિદાયીન હુમલો કર્યો હતો અને તેમાં 126 બાળકોનાં મોત થયા હતાં.
એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન હવે હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કરનાં આતંકીઓનાં બદલે જૈશ-એ-મોહમ્મદનાં આતંકીઓ પર વિશ્વાસ કરી રહ્યું છે.
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને જૈશ-એ-મોહમ્મદનાં ચીફ મસૂદ અજહરની એક મીટિંગ થઈ અને આ મીટિંગ બાદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ જૈશ-એ-મોહમ્મદનાં આતંકીઓને સપોર્ટ કરતાં કાશ્મીર ખીણ વિસ્તારમાં મોટા આતંકી હુમલા કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. આ બધા ઘટનાક્રમ વચ્ચે બારામુલ્લામાં સેનાનાં જવાનોને મોટી સફળતા મળી છે.
સેનાનાં જવાનોએ બારામુલ્લામાંથી 10 આતંકીઓને જીવતા પકડ્યાં છે. બારામુલ્લામાં સર્ચ ઓપરેશન દરમ્યાન જવાનોએ આતંકીઓની વિશેષ રીતે ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી સેનાનાં જવાનોએ મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કર્યા છે.
આ તમામ આતંકીઓ લશ્કરે તૈયબ્બા પાકિસ્તાનનાં છે. આ આતંકીઓ પર 30 એપ્રિલનાં રોજ 3 સ્થાનિકોની હત્યા થઇ હોવાંનો આરોપ છે. તપાસ દરમ્યાન ઓસામા નામનો આતંકી પણ મળી આવ્યો હતો. તેનું નામ નદીમ છે. તે આખું મોડ્યુલ ઓપરેટિંગ કરતો હતો.
આ સ્થાનિક આતંકીએ 3 સ્થાનિક યુવકની હત્યા કરી નાખી હતી. તે તાજેતરમાં જ આતંકી જૂથમાં જોડાયો હતો. જોઈન્ટ ઓપરેશનમાં પોલીસ સીઆરપીએફ અને સેનાએ આતંકીઓનાં ઠેકાણાં પરથી 2 એકે રાઈફલ ચાઈનિઝ પિસ્તોલ 4 હેન્ડ ગ્રેનેડ 50 રાઉન્ડ 4 મૈગઝીન અને 2 પિસ્તોલો જપ્ત કરી છે.
હાલ આતંકીઓની થઈ રહેલી પૂછપરછમાં સોપોર અને બારામુલા પટ્ટીમાં ચાલી રહેલાં લશ્કર મોડ્યુલનો ખુલાસો કરવામાં પણ મદદ મળશે.