આવી ઝેરી મીઠાઈ ખાતા પહેલા ચોક્કસપણે જાણી લો કે મીઠાઈ સારી છે કે ખરાબ. આ સરળ ઉપાયોથી તમે એ પણ જાણી શકો છો કે મીઠાઈમાં આર્ટિફિશિયલ રંગ અને કેમિકલ ઉમેરવામાં આવ્યું છે કે નહીં.
કોઈ પણ તહેવાર મીઠાઈ વગર અધુરો
પણ ઘરે આવતી મીઠાઈ ખાવા લાયક છે?
આ રીતે ઘરે બેઠા કરો ચેક
કોઈ પણ તહેવાર મીઠાઈ વગર અધુરો લાગે છે. ખાસ કરીને દિવાળીના સમયે મીઠાઈનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. શહેરોમાં લોકો બજારમાંથી જ મીઠાઈ ખરીદે છે અને ખાય છે. પરંતુ જાણતા નથી કે આ મીઠાઈ બનાવતા સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં. મીઠાઈમાં યોગ્ય ઘી-તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે પછી સડેલા તેલમાં સુગંધ મિક્ષ કરીને મીઠાઈ બનાવવામાં આવી છે.
ક્યારેક મીઠાઈમાં જૂની સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે ઘણા લોકોનું પેટ ખરાબ થઈ જાય છે. તો આ ઝેરી મીઠાઈ ખાતા પહેલા ચોક્કસથી જાણી લો કે મીઠાઈ સારી છે કે ખરાબ. આ સરળ સ્ટેપ્સ દ્વારા તમે એ પણ જાણી શકો છો કે મીઠાઈમાં આર્ટિફિશિયલ રંગો અને કેમિકલ ઉમેરવામાં આવ્યા છે કે કેમ. સિલ્વર વર્ક અને માવો પણ અસલી છે કે નકલી.
આર્ટિફિશિયલ રંગની મીઠાઈઓ
બજારની દુકાનો પર દેખાતી આ રંગબેરંગી મીઠાઈઓ તમને ખૂબ બીમાર કરવા માટે પૂરતી છે. તેમને જોઈને મોંમાં પાણી આવી જાય છે અને આપણે તરત જ ખરીદવા માટે દુકાનો પર પહોંચી જઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ મીઠાઈઓમાં હાનિકારક કેમિકલવાળા ફૂડ કલર્સ ભેળવવામાં આવે છે. જેનાથી ત્વચાની એલર્જી, કિડનીની બીમારી અને ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે.
નિષ્ણાતોના મતે મીઠાઈમાં રંગોની માત્રા 100 પીપીએમ સુધી જ હોવી જોઈએ. જો આનાથી વધુ રંગોનો ઉપયોગ કરવામાં આવે તો મીઠાઈ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
નકલી ચાંદીનું વર્ક
મીઠાઈઓને આકર્ષક અને રોયલ લુક આપવા માટે દિવાળી પર સિલ્વર વર્કનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. આના કારણે મીઠાઈની ચમક વધી જાય છે અને લોકો તેને તરત ખરીદી પણ લે છે, પરંતુ તમને જણાવી દઈએ કે આજકાલ મોંઘવારીના જમાનામાં લોકો ચાંદી ચોંટાડવાને બદલે એલ્યુમિનિયમ વર્ક લગાવે છે. તે લગભગ જીવલેણ છે.
તેને ઓળખવા માટે સ્વીટમાંથી એલ્યુમિનિયમ વર્ક કાઢીને હાથ પર ઘસી જુઓ. જો આ વર્કથી નાની ગોળીઓ બનવા લાગે તો સમજી લેવું કે મીઠાઈ પર ચાંદી નહીં પણ એલ્યુમિનિયમ ચોંટાડવામાં આવ્યું છે.
આ સિવાય તમે ચાંદીના વર્કને ચમચી પર રાખીને પણ બાળી શકો છો. તમને જણાવી દઈએ કે જ્યાં ચાંદી તેના ચમકદાર અવશેષો છોડી દે છે, ત્યાં એલ્યુમિનિયમ વર્ક બળીને રાખ થઈ જાય છે.
માવામાં ભેળસેળ
ભારતમાં માવામાંથી બનતી મીઠાઈને સૌથી શુદ્ધ માનવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે ભેળસેળના મોટાભાગના કિસ્સા પણ માવાના જ હોય છે. તેથી માવાની શુદ્ધતા તપાસવી જરૂરી છે.
જો તમે પણ દુકાનમાંથી મીઠાઈ કે માવો ખરીદતા હોવ તો પહેલા માત્ર એક જ સેમ્પલ ખરીદો અને ઘરે લાવો. હવે આ સેમ્પલ પર આયોડીનના 2 થી 3 ટીપાં નાખો.
આ પછી જો માવાનો રંગ વાદળી થઈ જાય તો સમજી શકાય કે માવામાં ભેળસેળ થઈ છે.
આ ઉપરાંત ઘણા લોકો માવા સાથે મિલ્ક પાઉડર પણ વેચે છે.
તેની ઓળખ માટે થોડો માવો હાથમાં લઈને તેને સુંઘીને કે ચાખીને અસલી અને નકલી વચ્ચેનો તફાવત જાણી શકાય છે.
મીઠાઈમાં ભેળસેળ
જો તમે દિવાળી પર ગુલાબ જાંબુ લેવા માંગતા હોવ તો પહેલા જાણી લો કે તેમાં સોયાબીનનો લોટ અને સ્ટાર્ચ પણ મિક્સ કરવામાં આવે છે. આને ઓળખવા માટે એક કડાઈમાં ખાંડ નાંખો અને ગુલાબ જામુનને ધીમી આંચ પર ગરમ કરો. આ પ્રક્રિયામાં જો ગુલાબ જાંબુ પાણી છોડવા લાગે તો સમજવું કે નકલી ગુલાબ જાંબુ તમારા ઘરે આવી ગયા છે.
એ જ રીતે કાજુ અને માવામાંથી બનેલી કાજુ કતરી પણ હવે મેદા અને કાજુનું એસેન્શિયલ ઓઈલ ઉમેરીને બનાવવામાં આવી રહી છે. તેનો સ્વાદ તમને રિયલ કાજુ કતરી જેવો જ લાગશે. આ તપાસવા માટે કાજુ કતરીને તમારા હાથ પર મસળીને જુઓ અને તેને ચાખો. જો કાજુ સિવાય અન્ય કોઈ સ્વાદ હોય તો તે કાજુ કતરી નકલી છે.