બેન્ક ડૂબવા પર કેટલી રકમ સેફ છે અને કેટલા પૈસા પરત મળશે?
બેન્ક ડૂબી જાય તો આપણા પૈસાનું શું?
એકાઉન્ટમાંથી જમા રકમમાંથી કેટલા મળશે પૈસા?
જાણો શું છે નિયમો?
RBIએ હાલમાં જ કો-ઓપરેટિવ રાબોબેન્ક યુ.એ. પર નિયમોનું પાલન ન કરવા પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. પીએમસી અને લક્ષ્મી વિલાસ જેવી બેન્કોના ગ્રાહકોને પહેલા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. દેશમાં ઘણી કો-ઓપરેટિવ બેન્કોને વિવિધ સંકટોનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ખાતાધારકોના મનમાં એ સવાલ રહે છે કે તેમની બેન્ક ડિફોલ્ટ કરે છે કે ડૂબી જાય તો તેમના જમા પૈસાનું શું થશે. કેટલી કિંમત સેફ છે અને કેટલા પૈસા પરત મળશે.
કેન્દ્ર સરકારે વર્ષ 2020માં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન એક્ટમાં ફેરફાર કર્યો હતો. ત્યાર બાદ બેન્કમાં જમા રકમની ગેરેન્ટી પાંચ લાખ રૂપિયા થઈ ગઈ. આ પહેલા ખાતાધારકોને વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધી જમાની ગેરેન્ટી મળતી હતી. હવે બેન્કોમાં જમા પાંચ લાખ રૂપિયા સુધીની તમારી રકમ સેફ છે. એટલે કે બેન્કના એકાઉન્ટમાં તમારા પૈસા જમા છે અને તે ડૂબી જાય છે તો પાંચ લાખ રૂપિયા સુધીની રકમ તમને પરત મળશે.
બેન્કમાં જમા રકમ પાંચ લાખથી વધારે છે તો શું થશે?
બેન્ક ડિપોઝીટ પર 5 લાખ રૂપિયાની સુરક્ષા ગેરેન્ટીનો મતલબ છે કે કોઈ બેન્કમાં ચાહે તમારી વધારે રકમ જમા હોય પરંતુ બેન્ક ડિફોલ્ટ અથવા ડૂબવા પર તમને 5 લાખ રૂપિયા જ પરત મળશે. જો એક જ બેન્કની ઘણી બ્રાન્ચમાં તમારા એકાઉન્ટ છે અને તેમાં જમા રકમ પાંચ લાખથી વધારે છે તો પણ ફક્ત પાંચ લાખ રૂપિયા જ પરત મળશે. એટલે તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ જ ઈન્શ્યોર્ડ થશે.
ડીઆઈસીજીસી હોય છે પેમેન્ટ માટે જવાબદાર
જોકે એક્સપર્ટ્સ અનુસાર સંકટમાં રહેલી બેન્કને સરકાર ડૂબવા નથી દેતી અને તેનું મર્જર કોઈ મોટી બેન્કમાં કરી દે છે. જો કોઈ બેન્ક ડૂબી જાય છે તો ડીઆઈસીજીસી દરેક ખાતાધારકોને પેમેન્ટ કરવા માટે જવાબદાર હોય છે. ડીઆઈસીજીસી આ રકમની ગેરેન્ટી લેવા માટે બેન્કો પાસેથી બદલામાં પ્રીમિયમ લે છે.