ગ્રામજનોએ જણાવ્યું કે, દારૂ પીધા પછી તબિયત વધુ બગડી
જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે
બિહારના બે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 21 લોકોના મોત થયા
બિહારના બે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે કુલ 16ની હાલત ગંભીર છે. જેમાંથી ગોપાલગંજમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. 7ની હાલત ગંભીર છે. અહીં 3 લોકોએ આંખોની રોશની ગુમાવી છે. બીજી તરફ બેતિયામાં 8ના મોત થયા છે. અહીં 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. નકલી દારૂ પીવાના કારણે તમામના મોત થયા હોવાની આશંકા છે.
ગ્રામજનોએ જણાવ્યું કે, દારૂ પીધા પછી તબિયત વધુ બગડી
ગોપાલગંજમાં, જે લોકોની તબિયત દારૂ પીધા પછી બગડી છે, તેમની સારવાર મોતિહારીની હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. તમામ મૃતકો મહમૂદપુર પોલીસ સ્ટેશન હેઠળના કુશહર, મહમૂદપુર, મંગોલપુર, બુચેયા અને છપરાના મસરખ પોલીસ સ્ટેશનના રસૌલી ગામના રહેવાસી હતા. આ તમામે મંગળવારે દારૂ પીધો હતો. જે બાદ તેની તબિયત બગડવા લાગી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે બુધવાર સાંજ સુધી આઠ લોકોના મોત થયા હતા. તે જ સમયે, ગુરુવારે સવાર સુધી, મોતિહારી અને ગોપાલગંજની હોસ્પિટલમાં દાખલ વધુ પાંચ લોકોના મોત થયા છે. આનાથી મૃત્યુઆંક વધીને 13 થયો છે. જો કે, વહીવટીતંત્રએ ગુરુવાર સવાર સુધી મૃત્યુઆંકમાં કોઈ વધારો થવાનો ઇનકાર કર્યો હતો.
પોલીસે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે
બેતિયાની ઘટનામાં પીડિતોના પરિજનોએ જણાવ્યું કે બુધવારે સાંજે આ લોકોએ ગામમાં દેશી બનાવટનો ચુલ્હી દારૂ પીધો હતો. મોડી રાત્રે તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે. ડીએમ કુંદન કુમારનું કહેવું છે કે મામલો શંકાસ્પદ લાગે છે. મેડિકલ ટીમ મોકલીને તપાસ કરવામાં આવી રહી છે.