આજે ગુજરાત અને દેશ વિકાસના ગગન ચૂંબી રહ્યો હોય તેવો દાવો ગુજરાત સરકાર કરી રહી છે. પરંતું યાત્રાધામ અંબાજી જે તાલુકામાં આવ્યું છે તે જ તાલુકા મથકમાં બસ સ્ટેન્ડ નથી.
દાંતા બસ સ્ટેશન ખંડેર હાલતમાં
બસ સ્ટેશન ન હોવાથી દાંતાના લોકોને હાલાકી
ઘણી બસો બારોબાર હાઈવે થી જ જતી રહે છે
યાત્રાધામ અંબાજી થી 20 કિલોમીટર દૂર આવેલું દાંતા ગામ જે બનાસકાંઠા જિલ્લાનું તાલુકા મથક છે. આ દાંતા ગામમાં આજુબાજુના વિસ્તારના લોકો તાલુકા પંચાયત અને કોર્ટ કચેરીના કામથી દાંત આવતા હોય છે. ત્યારે દાંતામાં આ અગાઉ એક બસ સ્ટેન્ડ હતું જે બસ સ્ટેન્ડ આજે ખંડર થઈ જવા પામ્યું છે અને હવે આ ખંડર બસ સ્ટેન્ડમાં એક મીની જંગલનું નિર્માણ થઈ ગયું છે.
બસ ગામમાં ન આવતા મુસાફરોને ભારે હાલાકી
આટલા મોટા તાલુકા મથકમાં બસ સ્ટેન્ડ ન હોય માત્ર એક પીકે સ્ટેન્ડ બનાવીને દાંતાના ગ્રામજનોને એક લોલીપોપ આપી હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે દાંતાના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે . કારણકે આ નાનું પીકઅપ સ્ટેન્ડ બજારની વચ્ચે બનાવવામાં આવતા નાનકડી ગલીઓમાંથી બસોને પસાર થવામાં તકલીફ થતી હોય છે . જેને લઈને કેટલીય બસો આ પીકઅપ સ્ટેન્ડ પર જવાનું ટાળતી હોય છે . અને બારોબાર હાઈવેથી જતી રહેતી હોય છે . જેને લઇ મુસાફરોને હાઇવે ઉપર કલાકો તડકામાં ઊભા રહી બસની રાહ જોવી પડતી હોય છે. તો કેટલાક લોકો નાની રૂટની મીની બસો પકડવા પીકપ સ્ટેન્ડ પર ઉભા રહેતા હોય છે.
સરકારી જમીન પર ભુમાફિયાઓ દબાણ કરીને બેઠા છે
મહત્વ ની વાત તો એ છે કે દાંતા ગામમાં સરકારી જમીન પણ મોટા પ્રમાણમાં છે. પરંતું તે જમીનો પર ભુમાફિયાઓ દબાણ કરીને આ જમીનો પર શોપિંગ સેન્ટર બનાવીને પૈસા વસૂલી રહ્યા છે. ત્યારે હવે આ જગ્યાઓ ખાલી કરાવીને અધત્તન બસસ્ટેન્ડ બની શકે તેટલી જગ્યા પરનું દબાણ દૂર કરીને આ તાલુકા મથકને સરકાર બસ સ્ટેન્ડ આપે તેવી માંગ ઉઠી છે.