અમદાવાદમાં કોરોના સંક્રમણ રોકવા AMC અને પોલીસની સહિયારી કાર્યવાહી
રાજકોટમાં તહેવારમાં કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર સજ્જ થઇ ગયું છે. હોળી ધુળેટી દરમિયાન નિયમના પાલન માટે પોલીસ એક્શનમાં આવી ગઇ છે. હોળી-ધુળેટીમાં 600 પોલીસ જવાનોની બાજ નજર રહેશે. હોલિકા દહન નિમિતે રાત્રે પોલીસનું ચુસ્ત પેટ્રોલિંગ રહેશે. રાત્રી પેટ્રોલિંગ બાદ ધુળેટીની સવારે પોલીસ રસ્તા પર ઉતરશે. જાહેરમાં ધુળેટીની ઉજવણી કરનાર સામે કાર્યવાહી થશે. ડ્રોન કેમેરાની મદદથી પોલીસ પેટ્રોલિંગ કરશે. 300 પોલીસ અધિકારી-કર્મીઓ, 2 SRP કંપની તૈનાત રહેશે. 100થી વધુ હોમગાર્ડ જવાનો પણ તૈનાત રહેશે. અને 30 ફિક્સ પોઇન્ટ-15 પેટ્રોલિંગ રૂટ પર પોલીસ ખડેપગે રહેશે.
રાજકોટમાં તહેવારોને લઈને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયુ છે. હોળી ધુળેટીના તહેવારને લઈને આજીડેમ ખાતે લોકોની અવરજવરને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા આજીડેમ પર જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આજીડેમ પર લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સરાહનીય પગલુ ભરવામાં આવ્યુ છે.
હોળી-ધૂળેટી રમશો તો...પાણી કનેક્શન કાપી નાખશે
તો અમદાવાદમાં હોળી-ધુળેટીને લઇ AMCએ એક્શન પ્લાન બનાવ્યો છે. કોરોના સંક્રમણ રોકવા AMC અને પોલીસ સાથે મળી કાર્યવાહી કરશે. જાહેરમાં ધુળેટી રમનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. સોસાયટી કે ફ્લેટના રહીશો ધુળેટી રમશે તો પાણીનું કનેક્શન કાપવામાં આવશે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હોળી ન રમી તમામ નાગરિકો સહકાર આપે. શહેરના તમામ ઝોનમાં જેટ ટીમ કાર્યરત રહેશે. ક્લબ, વોટરપાર્ક, સામજિક મેળાવડા બંધ રાખવા આદેશ કરાયો છે. આ સાથે જ 15થી 20 લોકો સાથે એકઠા થઇ શકશે નહીં. 200થી વધુ ટીમો કાલે કાર્યરત રહેશે. તેમજ મંદિરોમાં ફૂલો કે રંગોની ધૂળેટી પણ રમી શકાશે નહીં.