આગામી 8મી ઓગસ્ટથી દશામાના તહેવારો પ્રારંભ થવાની સાથે દશામાની મૂર્તિઓ નદીમાં અને કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જન થશે નહીં
કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે તહેવારો મુદ્દે તંત્ર સજ્જ
8 ઓગસ્ટથી શરૂ થતા દશામાના વ્રત મુદ્દે અમદાવાદ તંત્ર અલર્ટ
શોભાયાત્રા-સરઘસ કાઢીને મૂર્તિ વિસર્જન ન કરવા પોલીસની અપીલ
શ્રાવણ મહિનાની શરૂઆતથી અનેક તહેવારોની પણ ઉજવણી શરૂ થઈ જશે. જેને લઈ અમદાવાદ મનપા સક્રિય બની ગયું છે. આ સાથે પોલીસ વિભાગ પણ કોરોનાકાળમાં ભીડ એકઠી ન થાય તેને લઈ તૈયારી કરી રહ્યું છે. મહત્વનું છે કે, આસ્થાની આગળ અનેક વખત લોકો ચૂક કરી દેતા હોય છે. એક તરફ દેશભરમાં રોજ 30 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. તો ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં રોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે.
ત્યારે દશામાતાજીના વ્રતને લઈ અમદાવાદમાં મૂર્તિઓની પધરામણી થઈ રહી છે. પરંતુ વર્ષ 2020ની જેમ 2021માં પણ લોકો નદી, અને કુત્રિમ કુંડમાં તેનું વિસર્જન કરી શકશે નહીં. આ વર્ષે પણ અમદાવાદ મનપા દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે પોલીસ વિભાગે પણ જાહેરાત કરી કે, કોઈ કૃત્રિમ કુંડ બનાવ્યા નથી. સાથે સાબરમતીમાં પણ મૂર્તિનું વિસર્જન કરાશે નહીં.
તો કેવી રીતે મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે
દશામાતાની મૂર્તિનું વિરર્જન લોકોએ ઘરે જ કરવાનું રહેશે. અમદાવાદ પોલીસ અને મનપા દ્વારા આ વર્ષે કોઈ તૈયારી કરાઈ નથી. 8 ઓગસ્ટથી દશામાના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. જે બાદ બજારમાં લોકો માતાની પ્રતિમા અને અન્ય ધાર્મિક વિધિનો સામાન લેતા નજરે પડશે.
31 જુલાઈથી ગુજરાતમાં કર્ફ્યૂને લઈ નવા નિયમ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે. તે 31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.