અમદવાદના માણેકચોક ખાણીપીણી બજારમાં રસ્તા પર મૂકાતા ટેબલ, ખુરશી હટાવી લેવાનો આદેશ AMC દ્વારા કરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
માણેકચોકમાં AMCની કાર્યવાહી
દબાણ દૂર કરવાના હેતુથી કાર્યવાહી
કાર્યવાહી અંગે સ્થાનિક વેપારીઓમાં રોષ
માણેકચોક સ્વાદ રસિકોનું સરનામું બની ગયો છે. અમદાવાદ શહેરમાં ખાણી-પીણીની અનેક જગ્યાઓ છે પણ માણેકચોક બધાથી અલગ છે. કારણ કે અહીં સ્વાદ જ નિરાલો છે. ભીડભાડથી ભરેલા આ વિસ્તારમાં કોઈ મોટી રેસ્ટોરેન્ટો કે હોટલો નથી. માત્ર લારીઓ અને નાના સ્ટોલ છે. પણ ટેસ્ટ એવો છે કે ગુજરાતભરમાંથી આવતા લોકોને તે પોતાની તરફ ખેંચી જાય છે.
સવારે સોની બજાર સાંજે ખાણીપીણી બજાર
સાવ નાના અમથા આ વિસ્તારમાં સવારે સોની બજાર ધમધમે છે. ગ્રામથી લઈ કિલોગ્રામ સુધી સોનાની લેવડ દેવડ અહીં થાય છે. તો ઘરવખરીનો તમામ સમાન અહીં મળી રહે છે. જો તમારે લગ્નની ખરીદી કરવી હોય તો માણેકચોકથી યોગ્ય જગ્યા બીજી કોઈ નથી. માણેકચોક આજે અમદાવાદ જ નહીં પણ ગુજરાતની શાન છે. તેમ કહીએ તો ખોટું નથી. માણેકચોકની ખાણી-પીણી બજારમાં અનેક સ્વાદિષ્ટ આઈટમ મળી રહેશે.
રસ્તા પર મુકાતા ટેબલ, ખુરશી હટાવી લેવાનો આદેશ
માણેકચોકની સૌથી ફેમસ આઈટમ સેન્ચવીચ છે. માણેકચોકે તેના સ્વાદની છાપ માત્ર અમદાવાદમાં જ નહીં પણ દેશની સીમાઓ બહાર પણ છોડી છે. વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો જ્યારે અમદાવાદમાં આવે ત્યારે માણેકચોક જવાનું ચુક્તા નથી. અમદાવાદના માણેકચોકમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ બગડી છે, એટલું જ નહીં, અચાનક ત્યાંથી ટેબલ ખુરશી ગાયબ થયા છે.
માણેકચોકમાં AMCએ કરી કાર્યવાહી
વાસ્તવમાં અમદાવાદના માણેકચોક ખાણીપીણીના બજારમાં AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રસ્તા પર મુકાતા ટેબલ, ખુરશી હટાવી લેવાનો આદેશ કર્યો છે. દબાણ દૂર કરવાના હેતુથી બજારમાં AMCએ આ કાર્યવાહી કરી છે. AMCની કાર્યવાહીને લઈ સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ નિયમો લાગૂ કરીને હેરાન કરતું હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે.
વેપારીઓએ લોકોને નીચે બેસાડીને જમાડ્યા
કોર્પોરેશન દ્વારા રસ્તા પર મુકતા ટેબલ ખુરશી હટાવી લેવાનો ફરમાન કરાયો છે. જેથી ગઈકાલે વેપારીઓએ લોકોને નીચે બેસાડીને જમાડ્યા હતા. લોકો પણ નીચે પાથરેલા પ્લાસ્ટિક પર બેસીને જમવા મજબૂર થયા હતા.
આ મામલે માણેકચોકના એક વેપારી મહાવીરભાઈએ જણાવ્યું હતું કે, મારા પિતાજી 1960થી અહીં ભાજીપાઉંનો ધંધો કરે છે. અમે શાંતિથી ધંધો કરી રહ્યા છીએ. અમે લોકોને શાંતિથી જમાડીએ છીએ અને પ્રેમ પૂર્વક ધંધો કરીએ છીએ. પરંતુ વહીવટી તંત્રએ અમને ખુરશી ટેબલ હટાવી લેવાનો આદેશ આપ્યો છે. જેથી નીચે પ્લાસ્ટિક પાથવામાં આવ્યા છે. સારા ઘરના લોકો આવી રીતે નીચે બેસીને જમતા હોય કેવું લાગે, તમે આવો અને આવી રીતે જમશો તમને કેવું લગશે. અમારી માંગ છે કે અમારી રોજગારી દાવ પર લાગી ગઈ છે. મહેરબાની કરીને અમારી મદદ કરો.