અમદાવાદના લોકો ઈસ્કોનથી એરપોર્ટ સુધીના બિઆરટીએસ રૂટનો વધારે ફાયદો ઉઠાવી રહ્યા છે. ઈસ્કોનથી એરપોર્ટ સુધીનો ચાર્જ પણ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે. બીજી તરફ ખાનગી કેબના ભાડા પણ વધી ગયા છે જેથી લોકો BRTSમાં મુસાફરી કરતા વધ્યા છે.
અમદાવાદીઓએ BRTS સેવા પસંદ પડી
ઈસ્કોનથી એરપોર્ટના રૂટમાં પેસેન્જરો વધ્યા
ખાનગી કેબના ભાડા વધતા BRTSની ડિમાન્ડ વધી
અમદાવાદમાં આવતા અને જતા પેસેન્જરોને પ્રદૂષણ રહિત અને વાજબી દરની બસની સુવિધા મળી રહે તેવા આશયથી ઇસ્કોનથી એરપોર્ટ વચ્ચે ખાસ બીઆરટીએસ બસ સર્વિસ શરૂ કરાઈ હતી, જેમાં પેસેન્જર દીઠ માત્ર રૂ. ૫૦નું ભાડું હોઈ હવે આ સર્વિસ લોકપ્રિય બની રહી છે.મેયર કિરીટ પરમારના હસ્તે તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૧થી એરપોર્ટથી આવનારા અને જનારા પેસેન્જરો માટે સસ્તા ભાડાની બીઆરટીએસની ઇલેક્ટ્રિક બસ સર્વિસનો પ્રારંભ કરાયો હતો.
ક્યા ક્યા છે આ બસ ?
આ ઇલેક્ટ્રિક બસ સર્વિસ ઇસ્કોન ક્રોસ રોડ, રામદેવનગર, ઈસરો, સ્ટાર બજાર, જોધપુર ચાર રસ્તા, હિંમતલાલ પાર્ક, અંધજનમંડળ, યુનિવર્સિટી, મેમનગર, વાળીનાથ ચોક, સોલા ક્રોસ રોડ, જયમંગલ, શાસ્ત્રીનગર, પ્રગતિનગર, અખબારનગર, ભાવસાર હોસ્ટેલ, રાણીપ ક્રોસ રોડ, આરટીઓ સર્કલ થઈને અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ જાય છે.
એરપોર્ટ જવાનું ભાડુ માત્ર 50 રૂપિયા
સીસીટીવી કેમેરાથી સજ્જ અને સુરક્ષિત આ બસમાં પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ પણ છે. તેમજ કોઈ પણ બસ સ્ટેશનથી એરપોર્ટ જવાનું ભાડું માત્ર રૂ. ૫૦ છે, જેની ચુકવણી પેસેન્જર રોકડા, જનમિત્ર કાર્ડ અને ડિજિટલ પેમેન્ટના માધ્યમથી કરી શકે છે.એરપોર્ટના પેસેન્જરો માટે બસ સર્વિસ પર દર ૧૫થી ૩૦ મિનિટે બસ ઉપલબ્ધ છે તેમજ સવારના છ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી મળી રહે છે. એરપોર્ટનાં પ્રસ્થાન દ્વાર પાસે ડ્રોપ-ઓફ અને આગમન દ્વાર પાસે પિક-અપ સુવિધા ઊભી કરાઈ છે.
એરપોર્ટ ન જતા લોકો પણ સવારી કરી રહ્યા છે
બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા અગાઉ એરપોર્ટને સાંકળતી માત્ર સર્વિસ શરૂ કરાઈ હતી. જોકે તે વખતે પ્રયોગ નિષ્ફળ નીવડ્યો હતો એટલે હવે તંત્રે ઇસ્કોનથી આરટીઓ સુધી બીઆરટીએસ કોરિડોર પર બસ દોડાવવા લીધી છે એટલે એરપોર્ટ ન જવા ઇચ્છનારા પેસેન્જરો પણ આ સર્વિસનો લાભ ઉઠાવી રહ્યા છે. તેમ છતાં એરપોર્ટ બસ સર્વિસને પૂરતી સંખ્યામાં પેસેન્જર મળતા ન હતા.
દિવાળી બાદ ખાનગી કેબના ભાડા વધ્યા
જોકે ખાનગી કેબ સર્વિસનાં ભાડામાં જબ્બર વધારો થયા બાદ હવે પેસેન્જરો બીઆરટીએસ બસ સર્વિસ તરફ વળ્યા હોવાનો સત્તાધીશોનો દાવો છે. તંત્રના સત્તાવાર આંકડા મુજબ તા. ૧ નવેમ્બરે ૨૪૦ પેસેન્જરથી રૂ. ૧૧,૯૫૦ની આવક થઈ હતી, જ્યારે તા. ૪ નવેમ્બરે ૧૬૧ પેસેન્જર આવતાં તંત્રને ફક્ત રૂ. ૭,૯૨૫ની આવક થઈ હતી, પરંતુ દિવાળી બાદ ખાનગી કેબ સર્વિસનાં ભાડાંમાં વૃદ્ધિ થવાથી એરપોર્ટ જનારા અને એરપોર્ટથી આવનારા પેસેન્જરો બીઆરટીએસ સર્વિસ તરફ વળ્યા છે.
ક્યારે કેટલી કમાણી થઈ ?
તા. ૬ નવેમ્બરે ૩૪૨ પેસેન્જરથી રૂ. ૧૬,૮૫૦ની આવક, ૭ નવેમ્બરે ૫૭૭ પેસેન્જરથી ૨૮,૫૦૦ની આવક, ૮ નવેમ્બરે ૭૪૮ પેસેન્જરથી ૩૭,૧૨૫ની આવક થઈ હતી. દિવાળીના સપરમા દિવસોમાં તંત્રને દરરોજ ૩૦૦થી વધુ પેસેન્જરો મળતા રહ્યા છે. જેમાં ૯ નવેમ્બરે ૫૪૯ પેસેન્જરથી રૂ. ૨૭,૧૨૫ની આવક, ૧૦ નવેમ્બરે ૪૫૫ પેસેન્જરથી રૂ. ૨૨,૫૭૫ની આવક, ૧૧ નવેમ્બરે ૪૪૧ પેસેન્જરથી રૂ. ૨૧,૬૦૦ની આવક, તા. ૧૨ નવેમ્બરે ૪૩૩ પેસેન્જરથી રૂ. ૨૧,૨૫૦ની આવક, તા. ૧૩ નવેમ્બરે ૩૦૬ પેસેન્જરથી રૂ. ૧૫,૦૭૫ની આવક, તા. ૧૪ નવેમ્બરે ૩૩૫ પેસેન્જરથી રૂ. ૧૬,૫૫૦ની આવક, તા. ૧૫ નવેમ્બરે ૫૦૩ પેસેન્જરથી રૂ. ૨૪,૮૭૫ની આવક અને તા. ૧૬ નવેમ્બરે ૩૨૫ પેસેન્જરથી રૂ. ૧૬,૧૦૦ની આવક તંત્રને થઈ હતી.
પહેલા કરતા BRTS સર્વિસ વધારે લોકપ્રિય બની
આમ એરપોર્ટને સાંકળતી ઇસ્કોન- આરટીઓ- એરપોર્ટ બીઆરટીએસ બસ સર્વિસ કંઈક અંશે લોકપ્રિય બની હોવા છતાં હજુ સત્તાવાળાઓએ આ સર્વિસના પ્રચાર અને પ્રસાર તરફ વધુ ગંભીર થવાની જરૂર છે. આજે પશ્ચિમ અમદાવાદના કેટલા લોકોને આ સર્વિસની જાણકારી છે તે પણ મોટો પ્રશ્ન છે.