અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલ આંખની હોસ્પિટલમાં પાછલા પાંચ વર્ષ દરમ્યાન કરવામાં આવેલી ચક્ષુ દાન પૈકીની 35 ટકા ચક્ષુ દાનથી લોકોને રોશની મળી હોવાની વિગતો સામે આવી છે. વર્ષ 2013થી 2017ના પાંચ વર્ષના ગાળામાં કુલ 2748 લોકોએ ચક્ષુ દાન કર્યું છે જે પૈકી 35 ટકા ચક્ષુઓના કોર્નિયા ટ્રાન્સપલાન્ટ દ્વારા દ્રષ્ટિહીન લોકોને રોશની આપવામાં આવી છે જ્યારે ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકતી બાકીની આંખોને રિસર્ચ કે ડોક્ટરી અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
સિવિલ આંખની હોસ્પિટલના કોર્નિયા યુનિટના પ્રોફેસર ડો. દિપાલી પરમારે જણાવ્યું હતું કે કોઈપણ માણસના અવસાન પછી જ આંખોનું દાન કરવામાં આવે છે. ચક્ષુદાતાના પરીવારજનો પાસેથી કઈ બિમારીથી મૃત્યુ થયું તે અંગેની તમામ રિપોર્ટસ પણ લેવામાં આવે છે પણ મોટાભાગના કેસમાં માણસ બિમારીના કારણે મૃત્યુ પામે છે જેથી તેની આંખોથી જો અન્ય વ્યકિતને રોશની મળે તો તેને ઈન્ફેકશન લાગી શકે છે. જે માટે આવી આંખોને રિસર્ચ કે ડોક્ટરી અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
ડો. દિપાલી પરમારે આગળ જણાવ્યું કે કુદરતી રીતે થયેલ મૃત્યુ અને બિમારી વગરની ચક્ષુઓને ઓપરેશન માટે ફીટ ગણવામાં આવે છે. સામાન્ય રીતે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બિમારીથી કોઈનું મૃત્યુ થાય અને તે ચક્ષુ અન્ય લોકોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો સામે વાળા દર્દીને પણ તે સમસ્યા સર્જાઈ શકે છે જે માટે આંખની ટ્રાન્સપ્લાન્ટ માટે ખુબ જ કાળજી રાખવી પડે છે.