સ્વાધ્યાય પરિવારના સંસ્થાપક પાંડુરંગ શાસ્ત્રી અને જયશ્રી દીદી અંગે પોસ્ટ કરનાર વિરુદ્ધ અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં બાપુનગર પોલીસે વડોદરાના એક વ્યકિત વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. સ્વાધ્યાય પરિવારના લોકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ધાર્મિક એક્તા અને કોમી એખલાસને નુક્સના પહોંચાડતો મેસેજ વાયરલ થતાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાંડુરંગ શાસ્ત્રી-જયશ્રી દીદી અંગે પોસ્ટ કરનાર વિરુદ્ધમાં ફરિયાદ
બાપુનગરના ડોક્ટરે વડોદરાના રહીશ સામે ફરિયાદ નોંધાવી
કોરોના વાયરસ મુદ્દે મેસેજ વાયરલ થયો હતો
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પોસ્ટ વાઇરલ
“દાદા પાંડુરંગ શાસ્ત્રીએ તેમજ જયશ્રી તલવલકરે ભગવાન યોગેશ્વરનું નામ આપી ભગવાન ગોવિંદની ગીતાનો ઉપદેશ આપતાં આપતાં અપૌરુષ લક્ષ્મી ભેગી કરવાને બહાને અબજો રૂપિયાની મિલકતો અનેક ચેરિટી ટ્રસ્ટોમાં સંઘરાખોરી કરી રાખ્યા છે, જે સમાજનું ઘન છે. આજે લાખો માનવ ગુજરાત મહારાષ્ટ્રમાં જ ભયંકર રીતે કોરોના વાઇરસના કારણે પીડીત છે ત્યારે તેના પૈસા જે પાંડુરંગ શાસ્ત્રી કે જયશ્રી દીદીની મિલકત જ નથી તે પરત કરે”. આ પ્રકારની અનેક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં બાપુનગર પોલીસે વડોદરાના એક વ્યકિત વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે.
ધાર્મિક લાગણી દુભાવવા બદલ ફરિયાદ
ઠક્કરબાપાનગર ચારરસ્તા ખાતે આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ડો.ધીરજભાઇ બલદાણિયાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં વડોદરાના આશિષ હરેન્દ્રપ્રસાદ ભટ્ટ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ડો.ધીરજભાઇ બલદાણિયા પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છે.
સ્વાધ્યાય પરિવારના લોકોની લાગણી દુભાવતો મેસેજ વાયરલ
એક મહિના પહેલા ધીરજભાઇ ઘરે હાજર હતા ત્યારે તેમના વોટ્સએપ પર આશિષ ભટ્ટ નામના યુવકે પાંડુરંગ શાસ્ત્રી તેમનાં દીકરી જયશ્રી દીદી અને જમાઇ વિરુદ્ધમાં તદ્દન ખોટી અને વાહિયાત અને ઉપજાવી કાઢેલા પોસ્ટ મૂકી હતી. સ્વાધ્યાય પરિવારના લોકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ધાર્મિક એક્તા અને કોમી એખલાસને હાની પહોંચાડતો મેસેજ ફોર્વર્ડ કર્યો હતો. જેમાં તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
આશિષે જે મેસેજ કર્યો તેમાં કહેવાનો મતલબ એટલો હતો કે કોરોના વાઇરસની મહામારીમાં સ્વાધ્યાય પરિવાર પાસે જે ધન છે તે લોકોમાં આપી દે જે તેમણે ધર્મના નામે ઉધરાવ્યું છે. પોલીસે આ મામલે આશિષ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.