હેલ્થ વિભાગ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના સત્તાવાર આંકડા પ્રસિદ્ધ કરતો નથી
આપણામાં એક કહેવત બહુ જાણીતી છે કે- 'કમળો હોય તેને બધે પીળું દેખાય.' કમળાના દર્દીને ઝીણો તાવ આવવો, શરીર તૂટવું, ભૂખ ન લાગવી, ઊલટી-ઉબકા થવા, પેટમાં દુખાવો ઉપરાંત આંખો પીળી દેખાવી જેવી ફરિયાદ થતી હોઈ આવી કહેવત સમાજમાં પ્રચલિત બની છે. જોકે આપણું અમદાવાદ સ્માર્ટ સિટી બને કે મેગાસિટી કે પછી દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી બને, પરંતુ સામાન્ય નાગરિકોના રોગચાળા સંબંધિત પ્રશ્નો તો આજેય યથાવત જળવાઈ રહ્યા છે.
કમળામાં સત્તાવાર આંકડામાં માયાજાળ
કોરોનાની આડમાં મ્યુનિ. હેલ્થ વિભાગ લાંબા સમયથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના સત્તાવાર આંકડા પ્રસિદ્ધ કરતો નથી. ભાજપના સત્તાધીશો પણ નાગરિકોનાં હિતમાં રોગચાળાના આંકડાને નિયમિત રીતે જાહેર કરવા પર તંત્ર સમક્ષ ભાર મૂકવાને બદલે અગમ્ય કારણસર નમતું જોખી રહ્યા છે. જોકે તેનાથી કોઈ જાદુ થઈને રોગચાળો અદૃશ્ય થઈ જવાનો નથી. અસલમાં કોઈ જાદુ હોતો નથી, પણ તંત્ર ઢાંકપિછોડાનો જાદુ કરે છે. તેમ છતાં ફક્ત કમળાના છેલ્લાં છ વર્ષના સત્તાવાર આંકડા ચોંકાવનારા છે, કેમ કે વર્ષ ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં મ્યુનિ. તંત્રના ચોપડે જ કમળાના સત્તાવાર ૧૪,૧૮૮ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે બિનસત્તાવાર આંક મુજબ ૪૨,૦૦૦થી વધુ નાગરિકો આટલા સમયગાળામાં કમળાગ્રસ્ત થઈ ચૂક્યા છે.
કમળો થવાના કારણો..
કમળો થવાનું મુખ્ય કારણ હિપેટાઇટિસ-એ અને 'ઈ' છે, પરંતુ અમદાવાદમાં હિપેટાઇટિસ-ઈનો કમળો જ મહદઅંશે જોવા મળે છે. આ પ્રકારનો કમળો દૂષિત પાણી અને દૂષિત પાણીથી બનાવેલી ખાદ્ય સામગ્રીથી થાય છે. કમનસીબે તમામ અમદાવાદીઓને આજે પણ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. જ્યાં પાણીનું નેટવર્ક જ ન હોઈ ખાળકૂવા ધમધમે છે. જ્યાં પાણીનું નેટવર્ક છે ત્યાં જૂની લાઇનોથી લીકેજના પ્રશ્નો છે. ગેરકાયદે પાણીનાં જોડાણોથી પણ દૂષિત પાણીની સમસ્યા ઉદ્ભવે છે. ઘણી ખાનગી કંપનીઓ કેબલ બિછાવવા આડેધડ ખોદકામ કરતી હોઈ પાણીની પાઇપલાઇન તૂટવાથી તેમાં ગટરનું પાણી ભળી જવાથી પણ પાણી પીવાલાયક રહેતું નથી. ઊભરાતી ગટરો, ડિસિલ્ટિંગની નબળી કામગીરી, ખાનગી બોર, ક્લોરિનેશનના અભાવથી અવારનવાર દૂષિત પાણી પીને લોકો કમળા જેવા પાણીજન્ય રોગચાળાનો ભોગ બને છે. લારી-ગલ્લામાં જિલ્લામાં વેચાતી ખાદ્યસામગ્રી કહો કે હોટલ-રેસ્ટોરાંમાં ચોખ્ખાઈનો અભાવ પણ લોકોને કમળાના રોગી બનાવે છે. મ્યુનિ. તંત્રની બલિહારીથી હોટલ-રેસ્ટોરાંમાં નિયમિત ચેકિંગ થતું નથી. ખાદ્યપદાર્થોનાં સેમ્પલો તહેવારો સિવાય લેવાતાં નથી એટલે શહેરમાંથી કોરોના આવ-જાવ કરે છે, પણ કમળો સ્થાયી બન્યો છે.
કયા વર્ષમાં કેટલા કેસ નોંધાયા?
છેલ્લાં છ વર્ષના તંત્રનાં આંકડા તપાસતાં વર્ષ ૨૦૧૬માં કુલ ૨૮૯૪ કેસ, ૨૦૧૭માં કુલ ૨૪૭૬ કેસ, ૨૦૧૮માં સૌથી વધુ ૩૭૯૩ કેસ, ૨૦૧૯માં કુલ ૨૯૨૨ કે, ૨૦૨૦માં સૌથી ઓછા માત્ર ૬૬૪ કેસ અને ૨૦૨૧માં કુલ ૧૪૩૯ કેસ નોંધાયા હતા. મ્યુનિ. કોંગ્રેસના ઉપનેતા અને દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીને બજેટ બેઠક દરમિયાન તંત્રે આ અંગે સત્તાવાર માહિતી પૂરી પાડી હતી. છ વર્ષ પૈકી કોરોના મહામારીના વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં તો કુલ ૨૦૦૦ દર્દી જ નોંધાયા હતા એટલે કોરોનાની હાયતોબા વચ્ચે કમળો ગાયબ થઈ ગયો હતો.
દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, ગોમતીપુર કમળાનાં હોટસ્પોટ
તંત્રના રિપોર્ટ મુજબ દક્ષિણ ઝોનના દાણીલીમડા, બહેરામપુરા, વટવા, ઈસનપુર, લાંભા, રામોલ, હાથીજણ, પૂર્વ ઝોનમાં અમરાઈવાડી, ભાઈપુરા, ગોમતીપુર, ઓઢવ અને મધ્ય ઝોનમાં જમાલપુર જેવા વોર્ડ કમળાના હોટસ્પોટ અથવા તો હાઈરિસ્ક વિસ્તાર છે.