કશ્મીરમાં સુરક્ષા જવાનોમાં આત્મહત્યા અને સાથી જવાનની હત્યાના બનાવ વધી રહ્યા છે.. ચાલુ વર્ષે 8 મહિનામાં કશ્મીરમાં 18 જવાનોએ આત્મહત્યા કરી છે. જ્યારે સાથી જવાનોના હુમલામાં 6 જવાનના મૃત્યુ થયા છે.. સેના અને પેરામિલિટ્રી ફોર્સના સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે.
કશ્મીરમાં 8 મહિનામાં 18 જવાનોની આત્મહત્યા
ગત વર્ષે 19 જવાનોએ કરી હતી આત્મહત્યા
ચાલુ વર્ષે આત્મહત્યાના બનાવમાં વધારો
ગત વર્ષે કશ્મીરમાં 19 જવાનોએ આત્મહત્યા કરી હતી. જ્યારે ચાલુ વર્ષે 8 મહિનામાં 18 જવાનોએ આત્મહત્યા કરી લીધી છે. આ આત્મહત્યા પાછળનું કારણ એ છે કે સુરક્ષાકર્મીઓને જરૂરતથી વધુ દૈનિક ડ્યૂટી કરાવવામાં આવી રહી છે. સાથે જ પરિવારજનોથી લાંબા સમય સુધી દૂર રહેવા માટે મજબૂર અને તણાવ તેમજ ડિર્પેશનના શિકાર થઈ રહ્યા છે.
આ ઉપરાંત જે જવાનો આતંકવાદ વિરોધી અભિયાનમાં તૈનાત છે તે જવાનો વધુ પરેશાન છે. અનેકવાર તેમની ધીરજ પણ તૂટી જાય છે.
ચાલુ વર્ષે આત્મહત્યાના બનાવ વધવા પાછળ કોરોના સંકટ પણ જવાબદાર છે. CRPFના બે મામલા સામે આવ્યા છે જેમાં 12 મેએ અનંતનાગ જિલ્લાના અક્રુર્ણ મટ્ટન વિસ્તારમાં CRPFના એક સબ ઈન્સ્પેક્ટરે સર્વિસ રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. સબ ઈન્સ્પેક્ટરે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે હું ડરેલો છું, હું કોરોના પોઝિટિવ થઈ શકું છું. સારું એ રહેશે કે હું મરી જાઉં. એ જ દિવસે શ્રીનગરના કરણનગર વિસ્તારમાં CRPFના એક આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરે આત્મહત્યા કરી હતી. એ મામલો પણ કોરોનાથી જોડાયેલો હતો. કોરોનાના આવા અનેક મામલા હોવાની પણ આશંકા છે.
શ્રીનગરમાં CRPFના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે જવાનોને તણાવ મુક્ત કરવા માટે સતત કાઉન્સેલિંગ સેશન ચલાવાઈ રહ્યા છે. આ ઉપરાંત વ્યાયામમાં એ ગતિવિધિ પર ભાર મુકવામાં આવી રહ્યો છે જેનાથી માનસિક સ્વાસ્થ્યને ફાયદો થાય. બીજી તરફ અધિકારીઓએ એવી પણ વ્યવસ્થા કરવી જોઈએ જેથી જવાનો પોતાના પરિવારજનોથી લાંબો સમય દૂર રહેવા મજબૂર ન થાય. અને પરિવાર સાથે પણ સમય વિતાવી શકે. ઉલ્લેખનીય છે કે સાથી જવાનોના હુમલામાં 6 જવાનોના મૃત્યુ થયા છે.