વડાપ્રધાન મોદીએ ફરીવાર સત્તા સંભાળ્યા બાદ પડોશી દેશ પાકિસ્તાન વાતચીત માટે ઉત્સાહી જણાઇ રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજરોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ઇસ્લામાબાદ કાશ્મીર મુદ્દે તમામ સમસ્યાઓના સમાધાન માટે વાતચીત કરવા જણાવ્યું હતું.
આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન દ્વારા આ પ્રકારનો પત્ર એવા સમયગાળામાં લખવામાં આવ્યો છે કે, એક દિવસ પહેલા જ ભારત દ્વારા કહેવામાં આવ્યું હતું કે, શાંઘાઇ સહયોગ સંગઠન(SCO) શિખર સંમેલનમાં બંન્ને નેતાઓ વચ્ચે કોઇપણ પ્રકારની દ્વીપક્ષિય બેઠક નહીં થાય.
એક ખાનગી ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, બીજા કાર્યકાળમાં વડાપ્રધાન મોદીને અભિનંદન આપતા ઇમરાને પત્રમાં કહ્યું હતું કે, બંન્ને દેશો વચ્ચે વાતચીત જ બંન્ને દેશોના લોકોને ગરીબીમાંથી મુક્ત કરવાનું એક માત્ર સમાધાન છે અને તેના માટે જરૂરી છે કે ક્ષેત્રીય વિકાસ માટે સાથે ચાલીને કામ કરવામાં આવે.
ખાને વધુમાં કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીર મુદ્દે સહિત તમામ સમસ્યાઓનું સમાધાન ઇચ્છે છે. નોઁધનીય છે કે, મોદી સત્તામાં ફરી પરત આવ્યા બાદ આ બીજી તક છે કે, પાકિસ્તાની વડાપ્રધાને બંન્ને રાષ્ટ્રોની પ્રજાના હિતની વાત માટે સાથે ચાલીને કામ કરવાની ઇચ્છા પ્રગટ કરી હતી.
પાકિસ્તાનના વિદેશ સચિવ દિલ્હીની મુલાકાતે આવ્યા
પાકિસ્તાનના વિદેશ સચિવ અને પૂર્વ ઉચ્ચાયૂક્ત સોહેલ મહમૂદ ઇદના અવસર પર દિલ્લીમાં ઉપસ્થિત હતા. જેને લઇને પાકિસ્તાન વિદેશ સચિવ અને ભારતીય અધિકારીઓ વચ્ચેની બેઠકને લઇને શક્યતાઓ જોવામાં આવી રહી છે.
જો કે સૂત્રોને મળતાં અહેવાલ મુજબ આ બેઠકમાં આગામી અઠવાડિયે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારી SCOની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇમરાન ખાનની બેઠકની અટકળો તેજ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે સોહેલ મહમૂદ એપ્રિલમાં ઇસ્લામાબાદ પરત ફરી ગયા હતા.
જો કે સોહેલ મહમૂદની ભારતમાં ઉપસ્થિતિને લઇને ભારતીય વિદેશ મંત્રાલય તરફથી કે પાકિસ્તાન ઉચ્ચાયોગ તરફથી કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે મહમૂદ પહેલા ભારતમાં પાકિસ્તાની ઉચ્ચાયોગ હતા હવે તેમની નિમણૂંક વિદેશ સચિવ તરીકે કરવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ સચિવ મહમૂદે દિલ્લીની ઐતિહાસિક જામા મસ્જિદમાં ઇદની નમાજ અદા કરી હતી.