કોંગ્રેસના આ MLAએ સરકાર પર તાક્યુ નિશાન, કહ્યું, 'શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે સરકાર તાયફા બંધ કરે'
કોરોનાનુ હોટ સ્પોટ બન્યું અમદાવાદ
કોરોના કેસ વધતા ઇમરાન ખેડવાલાનું નિવેદન
સરકાર તાયફઓ બંધ કરે -ખેડાવાલા
રાજ્યમાં એક તરફ કોરોના વકરી રહ્યો છે તો બીજી તરફ વિપક્ષ સરકારને બાનમાં લેવાનુ ચૂકતી નથી. ત્યારે વધુ એકવાર કોંગ્રેસે કોરોનાના કેસને લઇને સરકાર પર આકરા પ્રહારો કર્યો.. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારી કાર્યક્રમોના આયોજનને લઇને સવાલો ઉઠાવ્યા. ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે છેલ્લા 4 દિવસમાં કોરોનાના કેસ બમણા થઇ ગયા છે તેમ છતાં સરકારને તાયફા કરવામાં જ રસ છે. પ્રજાને કોરોનાથી બચાવવા માટે તાત્કાલિક અસરથી રાજકીય મેળાવડા બંધ કરે.
અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ-ખેડાવાલા
શહેરમાં કાઇટ શો અને ફ્લાવર શોનું આયોજન કરવા બદલ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યુ કે સરકાર કાર્યક્રમો યોજીને ભીડ સાથે કોરોનાને આમંત્રણ આપવા માગે છે. શહેર કોરોનાનું હોટ સ્પોટ છે છતાં સરકાર કાર્યક્રમો યોજે છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ કે સરકાર આ તાયફા બંધ કરે. કોરોના વકર્યો છે તો તેના માટે પગલા લેવામાં આવે છે. પરંતુ કોર્પોરેશન અને તંત્ર આ અંગે કોઇ કામીગીરી ન કરી રહ્યા હોવાનો ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો હતો.
અમદાવાદમાં કોરોના કેસ 1000ને પાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી અડધા કેસ તો અમદાવાદમાં જ નોંધાયા. અમદાવાદમાં મંગળવારે 1314 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટના 2 કેસ નોઁધાયા હતા તે બંને કેસ અમદાવાદમાં નોઁધાયા છે. આ સાથે જ ગુજરાતમાં ઓમીક્રોનના કેસનો આંકડો 154 પર પહોંચ્યો છે. તો આ તરફ વધતા કેસને પગલે તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મંગળવારે અમદાવાદ શહેરમાં વધુ 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો હતો.. જેમાં બોડકદેવ અને સૈજપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.