રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મામલે ફટકાર મળ્યા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન આજ કાલ સતત યુદ્ધનું રટણ કર્યે રાખે છે. ઇમરાનખાને ફરી એક વખત ગણાવ્યું છે કે જો બે પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશો વચ્ચે યુદ્ધ થશે તો આ યુદ્ધ માત્ર બે દેશો પૂરતું સીમિત રહેશે નહીં, પરંતુ સમગ્ર પ્રદેશમાં ખતરનાક પરિણામો આવી શકે છે.
ઇસ્લામિક સોસાયટી ઓફ નોર્થ અમેરિકાને એક વીડિયો કોલ દ્વારા સંબોધન કરતાં ઇમરાનખાને જણાવ્યું હતું કે કાશ્મીરની સ્થિતિને લઇને વૈશ્વિક નેતાઓને માહિતગાર કરવામાં આવ્યા છે. પ ઓગસ્ટે ભારત સરકારે કલમ-૩૭૦ હટાવવાનો અને રાજ્યનું બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન કરવાનો નિર્ણય લીધો છે.
ત્યારથી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે અવારનવાર યુદ્ધની વાતો કરે રાખે છે. ઇમરાને વધુમાં જણાવ્યું હતું કે ભારત અને જમ્મુમાં માનવ અધિકારોના હનનથી દુનિયાનું ધ્યાન બીજે ખસેડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
મને ખબર છે કે ભારતમાં કેટલાક લોકો હજુ પણ નહેરુ અને ગાંધીની વિચારધારામાં વિશ્વાસ કરે છે, પરંતુ મોદી પીએમ બન્યા બાદ સ્થિતિ બદલાઇ ગઇ છે. દરમિયાન પાકિસ્તાનમાં કાશ્મીર અવર મનાવવા માટે કાશ્મીર અંગે વાતો કરતા કેટલાય વીડિયો સામે આવ્યા છે.
કાશ્મીરને પોતાની ડિફેન્સ લાઇન માનનાર દેશ પાકિસ્તાન જ્યારે પોતાના વડા પ્રધાન ઇમરાનખાનના નેતૃત્વમાં દુનિયા સામે પોતાને કાશ્મીરના હિતેચ્છુ બતાવાનો ઢોંગ કરી રહ્યા હતા ત્યારે ત્યાંના જ અલગ અલગ ભાગોમાં પોતાના જ પક્ષની જ લોકો મજાક ઉડાવી રહ્યા હતા. પાકિસ્તાનના ખૈબર પખ્તુનવાના મુખ્યપ્રધાન એમ કહી રહ્યા છે કે અમે ઇન્ડિયાનું વાજું વગાડી દઇશું.