કોરોના વાયરસ સંકટ વચ્ચે ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપોથી પોતાના જ દેશમાં ઘેરાયેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારતને મદદની ઓફર કરી છે. ઇમરાન ખાને એક અહેવાલને ટાંકીને દાવો કર્યો હતો કે ભારતમાં 34 ટકા ઘરોમાં આર્થિક સહાય વિના એક અઠવાડિયાથી વધુ સમય ચાલે એટલું ખાવાનું નથી. જેની સામે ભારતે સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે અમારું રાહત પેકેજ પાકિસ્તાનના કુલ GDP જેટલું છે એટલે પાકિસ્તાનને મોઢું બંધ રાખવામાં જ ભલાઈ છે.
ઇમરાન ખાને એક સમાચાર અહેવાલની એક લિંકને ટ્વીટ કરીને કહ્યું છે કે, "આ અહેવાલ મુજબ, ભારતમાં 34 ટકા ઘરોમાં એક અઠવાડિયાથી વધુ સમય સુધી સહાય વિના જીવી શકાય તેમ નથી. હું ભારતને મદદ અને ટ્રાન્સફર પ્રોગ્રામ શેર કરવા માટે તૈયાર છું. અમારા કેશ ટ્રાન્સફર પ્રોગ્રામની જનતા સુધીની પહોંચ અને પારદર્શિતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી છે."
Acc to this report, 34% of households across India will not be able to survive for more than a week without add assistance. I am ready to offer help & share our successful cash transfer prog, lauded internationally for its reach & transparency, with India.https://t.co/CcvUf6wERM
પાકિસ્તાની વડા પ્રધાને કહ્યું, "અમારી સરકારે ખૂબ જ પારદર્શક રીતે એક કરોડ પરિવારોને નવ અઠવાડિયામાં સફળતાપૂર્વક 120 અબજ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જેથી ગરીબ પરિવારો સરળતાથી કોરોના વાયરસના સંકટનો સામનો કરી શકે."
ભારતીયોના ખાતામાં તાત્કાલિક રૂપિયા મોકલવાની જરૂર
શિકાગો યુનિવર્સિટી અને મુંબઈના ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવાયું છે કે લોકડાઉન થયા બાદ લગભગ 84 ટકા ભારતીય પરિવારોની આવકમાં ઘટાડો થયો છે. કુલ પરિવારોમાંથી એક તૃતીયાંશ વધારાની સહાયતા વિના એક અઠવાડિયાથી વધુ જીવી શકશે નહીં. આ અહેવાલમાં જણાવાયું છે કે ભારતીયોને તાત્કાલિક પૈસા અને ખોરાક આપવાની સખત જરૂર છે.
પાકિસ્તાનને બીજુ લોકડાઉન પોસાય તેમ નથી
હકીકતમાં ઇમરાને આ સહાયની ઓફર દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. થોડા દિવસો પહેલા જ ઇમરાને કહ્યું હતું કે લોકડાઉનને કારણે લોકો ભારતમાં ભૂખે મરી રહ્યા છે. તે જ સમયે અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ લાઇનમાં ઉભા રહીને લોકોને ખાવાનું આપવામાં આવી રહ્યું છે. જો કે તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાનને એટલું નુકસાન થયું નથી. ઇમરાન ખાને પાકિસ્તાનમાં લોકડાઉનને બીજા તબક્કાથી પૂર્ણ કરી દીધું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાનને બીજુ લોકડાઉન પોસાય તેમ નથી. લોકડાઉનને કારણે દેશને 800 કરોડ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું છે.
પાકિસ્તાનમાં કોરોના વાયરસથી સ્થિતિ બેકાબૂ
ઇમરાન ભારતને આ સહાય એવા સમયે આપી રહ્યા છે જ્યારે કોરોના વાયરસને કારણે તેમના પોતાના દેશની પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ડોકટરોને PPE કીટ મળી રહી નથી અને ખુદ ઇમરાનની સરકારના દિગ્ગ્જ નેતાઓ કોરોના વાયરસની પકડમાં છે. પાકિસ્તાનમાં વિરોધ પક્ષ મુસ્લિમ લીગ-નવાઝના વડા શાહબાઝ શરીફને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 119,536 થઈ ગઈ છે. તે જ સમયે 2,356 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ઇમરાન દુનિયાભરમાંથી લોન માંગી રહ્યા છે. દરમિયાન, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ કોરોના વાયરસ મહામારીના સંકટને પહોંચી વળવા પાકિસ્તાનને 50 કરોડ યુએસ ડોલરની લોન આપવાની જાહેરાત કરી છે.
ભારતે આપ્યો સામો જવાબ
ભારતે સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે અમારું રાહત પેકેજ પાકિસ્તાનના કુલ GDP જેટલું છે એટલે પાકિસ્તાનને મોઢું બંધ રાખવામાં જ ભલાઈ છે. ઇમરાન ખાનની ટ્વીટનો જવાબ આપતી વખતે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે અમારું રાહત પેકેજ પાકિસ્તાનના કુલ GDP જેટલું છે. પાકના PMને વધુ સારા સલાહકારની જરૂર છે. તેમણે ઇસ્લામાબાદના લોન સંકટની પણ યાદ અપાવી હતી. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને ફંડિંગ કરવા માટે દેશની બહાર કેશ ટ્રાન્સફર કરવા માંગે છે.