પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર જમ્મૂ કાશ્મીરનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાની મીડિયા મુજબ જમ્મૂ કાશ્મીર મુદ્દા પર ઇમરાન ખાને કહ્યું કે ભારતની સાથે ત્યાં સુધી કોઇ વાતચીત નહીં થાય, જ્યાં સુધી કરફ્યૂ હટાવવામાં નહીં આવે.
ભારતે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો કર્યો છે ઇનકાર
કાશ્મીરમાં ધીમે-ધીમે ટેલીફોન સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે
કાશ્મીર પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ પહેલા કાશ્મીર પર પાકિસ્તાનની સાથે કોઇપણ પ્રકારની વાતચીતથી ભારતે જ ઇનકાર કરી દીધો હતો. પાકિસ્તાન સાથે કાશ્મીર પર વાતચીતને ફગાવતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે અનુચ્છેદ 370ને હટાવવો પૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે અને પાકિસ્તાનની સાથે ભારત માત્ર આંતકવાદ મુદ્દે વાત કરશે.
પાકિસ્તાનની સાથે કાશ્મીર પર વાતચીત કરવાના સવાલ પર એમણે કહ્યું કે 370 દ્વિપક્ષીય મામલો નથી, આ એક આંતરિક મામલો છે. પાકિસ્તાનના સંબંધમાં આ મુદ્દો માત્ર અનુચ્છેદ 370નો નથી પરંતુ આતંકવાદનો છે.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણમાં અમુક પ્રતિબંધ લગાવ્યા હતા. જમ્મુ કાશ્મીરના સ્થાનિક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે અને અને સુરક્ષાદળોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 5 ઓગસ્ટથી જ જમ્મુ કશ્મીરમાં કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.
જો કે, આ પ્રતિબંધ બાદથી જ ખીણમાં કોઇપણ પ્રકારની હિંસા થવાના સમાચારો સામે આવ્યા નહોતા. કાશ્મીરમાં ધીમે-ધીમે ટેલીફોન સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ સાથે જ ઇન્ટરનેટ સેવાઓ પરની પાબંધીઓ હટાવી લેવામાં આવી છે. જો કે, વિપક્ષ ઘાટીના નજરબંધ નેતાઓ મામલે સવાલ ઉઠાવી રહ્યું છે.