ગુજરાતમાં હર ઘર તિરંગા કાર્યક્રમની ઠેર ઠેર ઉજવણી, ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી ખાસ અપીલ
ગાંધીનગરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ
આ માહોલ અને અવસરને ચૂકશો નહીં- સંઘવી
પક્ષા-પક્ષીથી દૂર રહીને સાથે ઉજવણી કરીએ- વાઘાણી
PM મોદીએ ટ્વિટ કરીને લોકોને 'હર ઘર તિરંગા અભિયાન'ને મજબૂત કરવાની અપીલ કરી છે. તારીખ 13થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘર પર ઝંડો લહેરાવવા PMએ અપીલ કરી છે ત્યારે પીએમ મોદીના આ અભિયાનને લઇને ઠેર ઠેર હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી.
કોઇ મફતમાં તિરંગો આપે તો લેતા નહી- હર્ષ સંઘવી
ગાંધીનગરમાં આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને એક અપીલ કરતા જણાવ્યુ કે કોઈ મફતમાં તિરંગો આપે તો લેતા નહીં, આપણે આપણો તિરંગો જાતે જ ખરીદવાનો છે. બધાએ ઘર પર તિરંગો લહેરાવવાનો છે. દેશમાં 75 વર્ષ બાદ માહોલ ઉભો થયો છે, આ માહોલ અને અવસરને ચૂકશો નહીં. દેશભક્તિની મુહિમને તોડનારાને દેશ માફ નહી કરે.
રાષ્ટ્રીય પર્વમાં રાજનીતિ ક્યારેય ન હોય-જીતુ વાઘાણી
તો આ તરફ અરવલ્લીમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તિરંગા યાત્રાના રાષ્ટ્રીય પર્વમાં જોડાવવા અપીલ કરી. રાજ્ય સરકાર તરફથી અપીલ કરતા જણાવ્યું કે પક્ષાપક્ષીથી દૂર રહીને સાથે ઉજવણી કરીએ. નાત-જાતના ધર્મ બધુ ભૂલીને સહિયારા પ્રયાસ સાથે ઉજવણી કરીએ. તેમણે વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય પર્વમાં ક્યારેય રાજનીતિ ન હોઇ શકે, રાજકીય ભેદભાવ ભૂલી તિરંગાના પર્વમાં જોડાવવા આહ્વાન કર્યું હતું.
સુરતમાં યોજાઇ તિરંગા યાત્રા
4 ઑગષ્ટના રોજ ગુજરાતના સુરતમાં તિરંગા યાત્રાની શરૂઆત થઇ હતી.બે કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રાને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી. સુરતની આ પદયાત્રાના કાર્યક્રમમાં CR પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, દર્શના જરદોષ, પુર્ણેશ મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.સુરતની 'હર ઘર તિરંગા પદયાત્રા'માં નિવૃત્ત સૈનિકો પણ સામેલ થયા હતા. એ સિવાય અનેક વિદ્યાર્થીઓ, ફાયરબ્રિગેડ, પોલીસ, પોલીસ બેન્ડ અને NCC પણ આ પદયાત્રામાં સામેલ થયા હતા. હજારો વિદ્યાર્થીઓ પદયાત્રામાં જોડાવવા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.
ઘાટલોડિયામાં યોજાઇ તિરંગા યાત્રા
ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અવસર પર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયા ખાતે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું.અમદાવાદ ખાતે યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં જ્ઞાનદા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ 1552 ફૂટ લાંબા તિરંગા સાથે દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી.
3થી 15મી ઓગસ્ટ દરમિયાન દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. 13થી 15મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.
www.harghartiranga.com વેબસાઈટ શરુ કરી
આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરુ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે.