બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલે આંતરિક નારાજગીને લઈ નિવેદન આપતા કહ્યું છે કે રિસાયેલા ભૂખ્યા રહે અને બાકીના ખાઇ-પીને આનંદ કરે તે કરતાં વિવાદો છોડી માત્ર પક્ષ માટે કામે લાગો
નારાજ નેતા-કાર્યકર્તાઓને CMનું આડકતરી રીતે સૂચન
બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલ આંતરિક નારાજગીને લઇ બોલ્યા
રિસાણા તો કંઇ હાથમાં નહીં આવે: CM
ભાજપમાં આંતરિક જુથવાદ અને વિવાદ ચૂંટણી ટાણે અંદરખાને ચરમસીમાએ હોય છે. સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે નારાજ નેતા-કાર્યકર્તાઓને આડકતરી રીતે સૂચન કરી ચેતવ્યા છે. અને વિવાદો ભૂલી પક્ષના કામે લાગવા આહવાન કર્યું છે.
ગત રોજ બનાસકાંઠામાં સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે આંતરિક નારાજગીને લઈ મહત્વનું સૂચન આપ્યું છે. ભાજપના નારાજ નેતાઓને સંદેશ આપતા કહ્યું છે કે રિસાણા તો કંઇ હાથમાં નહીં આવે, તમને ખબર છે કે મોટા કુટુંબમાં રહેતા હોય ત્યારે જે રિસાય તે ભૂખ્યો રહે એટલે રિસાયેલા ભૂખ્યા રહે અને બાકીના ખાઇ-પીને આનંદ કરે એવું ન કરો તેનાથી તમને વધુ નુકસાન થશે. એના કરતાં બધા વિવાદો છોડી માત્ર પક્ષ માટે કામે લાગો કારણ કે પરિવાર મોટો હોય તો કેટલાક લોકોમાં નારાજગી હોય તે સ્વાભાવિક છે.
નર્મદામાં કહ્યું હતું ફોટા પડાવી ઘેર સૂઈ ન જાઓ
ગુજરાતના આદિવાસી વિસ્તારોના વિકાસ અને સંવર્ધનલક્ષી કલ્યાણકારી યોજનાઓના લોકાપર્ણ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા જીલ્લાના પ્રવાસે હતા.મુખ્યમંત્રીએ ભાજપના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને આગામી ચૂંટણી અને પાર્ટીની શિસ્ત -સંયમને ધ્યાનમાં રાખી ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, મીડિયામાં ફોટા પડાવી ઘેર જઈ સુઈ જાય એવુંના હોવું જોઈએ. આવા ઘણા કાર્યક્રમ કોરોના કાળમાં જોવા મળ્યા હતા.અમારા કાર્યકરો તો કામ જ કરે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કામ જ કરે છે એટલે તો આખા'ય વિશ્વમાં લોકપ્રિય બન્યા છે.મને પણ પહેલા સતેજ પર તડકો લાગતો હતો.કાર્યકર્તાઓને તડકામાં બેસી રહેવું પડે ત્યારે મે કહ્યું ,'બોલવાનું વહેલા પતાવી દો'. આજે તડકો બહુ વાગતો નથી.ભાજપના કાર્યકરોએ તડકો છતાં શિસ્ત નથી ગુમાવી.