રાજ્યમાં લાગેલા પ્રતિબંધો અને કર્ફ્યૂ મુદ્દે 20 મેના રોજ બેઠકમાં નિર્ણય લેવાશે, અગાઉ વાવાઝોડાને કારણે 3 દિવસ કર્ફ્યુનો સમય લંબાવ્યો હતો
આવતીકાલે રાજ્યમાં પ્રતિબંધો મુદ્દે મહત્વની બેઠક
રાજ્યમાં લાગેલા પ્રતિબંધો અને કર્ફ્યૂ મુદ્દે લેવાશે નિર્ણય
અગાઉ વાવાઝોડાને કારણે 3 દિવસ કર્ફ્યૂ લંબાવાયું હતું
રાજ્યમાં પ્રતિબંધો મુદ્દે મહત્વની બેઠક યોજાશે. રાજ્યમાં લાગેલા પ્રતિબંધો અને કર્ફ્યૂ મુદ્દે 20 મેના રોજ નિર્ણય લેવાશે. અગાઉ વાવાઝોડાને કારણે 3 દિવસ કર્ફ્યુનો સમય લંબાવ્યો હતો. 19, 20 અને 21 મે સુધી પ્રતિબંધો લંબાવાયા હતા. 20 તારીખે બેઠક બાદ રાજ્ય સરકાર કર્ફ્યૂ મુદ્દે નવો નિર્ણય જાહેર કરશે. બેઠકમાં રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરાશે. હાલ રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5246 કેસ જ નવા નોંધાયા છે. જેને લઈ કર્ફ્યૂમાં રાહત મળવાની શક્યતા છે. અગાઉ વેપારી એસો. પણ ધંધા રોજગારને અસર પહોંચી હોવાથી પ્રતિબંધોમાં રાહત આપવાની માગણી કરી ચૂક્યા છે.
વાવાઝોડાને લઈ ત્રણ દિવસના કર્ફ્યૂનો પરિપત્ર જાહેર થયો હતો
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ છે. 18મી મે 2021થી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના આ રાત્રી કર્ફ્યુનો અમલ તા.21મી મે 2021ની સવારે 6 વાગ્યા સુધી આ શહેરોમાં કરવાનો રહેશે. 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો લાગુ રહેશે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે.
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સ્થિતિ અંગે મુખ્યમંત્રીનું નિવેદન
ગુજરાતમાં આવેલા તૌકતે વાવાઝોડા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઈ માર્ગે ગુજરાતની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાને સંબોધન કર્યું હતું. જેમાં સૌ પ્રથમ તૌકતે વાવાઝોડાની સ્થિતિનું અવલોકન અને ગુજરાતને આપેલા રાહત પેકેજ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્ય હતો. સાથે નુકસાન પર કામગીરી અને અન્ય વ્યવસ્થા અંગે પણ જાણકારી આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, PM મોદીએ વાવાઝોડા બાદની સ્થિતિનું ઉંડાણપુર્વક અવલોકન કર્યુ છે. ગુજરાત સરકારની કામગીરી પર PMએ સંતોષ વ્યક્ત કર્યો છે. અને ગુજરાતને પ્રધાનમંત્રીએ હંમેશા ત્વરિત મદદ કરી છે. ઈજાગ્રસ્તોને 50 હજાર, મૃતકોના પરિવારને કેન્દ્ર તરફથી 2 લાખ સહાય અને રાજ્ય સરકાર 4 લાખ રૂપિયા મૃતકના પરિવારને આપશે. આમ એક પરિવારને 6 લાખ રૂપિયાની કુલ સહાય મળશે.
આ વખતનું તૌકતે વાવાઝોડું વિશિષ્ટ પ્રકારનું અને વિનાશકારી હતું. ઊનાના દરિયાપરથી ગુજરાતમાં પ્રવેશ્યું ત્યારે, 200 કિમી પ્રતિ કલાકનો પવન ફૂંકાતો હતો. આવા સમયે શું થશે. તેવી ચિંતા સૌ કોઈના માથે હતી. પરંતુ સરકારના આગોતરા આયોજન અને સમયસરના પગલાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી.
મામલતદારથી સરકાર સુધી તમામ લોકો કાર્યરત છે
મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતભરના મામલતદારથી સરકાર સુધી તમામ લોકો સતત કામગીરી કરી રહ્યા છે. વાવાઝોડાના સમયમાં રિસ્ટોરેશનનું કામ કરવું અઘરું છે. આમ છતાં કર્મચારીઓએ કામ કર્યું છે. 1200 જેટલા રસ્તાઓ બંધ હતા. જેમાંથી 1100 રસ્તાઓ કાર્યરત કરી દેવાયા છે. ટુંક સમયમાં તમામ રસ્તાઓ કાર્યરત થઈ જશે. બાંધકામની 633 ટીમ અને 3500 જેટલા મશિનોની સાથે 5 હજાર જેટલા લોકો આ કામમાં લાગ્યા છે.
ગામડાઓમાં લાઈટ અને હોસ્પિટલ અંગે આપી જાણકારી
વાવાઝોડાના 66 KVના 219 સબસ્ટેશન અસરગ્રસ્ત પામ્યા હતા. જેના કારણે 50 ટકા ગામમાં વિજળી બંધ હતી. પરંતુ તમામ વીજ કંપનીના 15 હજારથી વધુ કર્મચારીને કામગીરી સોંપી છે. 295 જેટલી કોવિડ હોસ્પિટલમાં અસર થઈ હતી. અને આ જગ્યાએ લાઈટ જતી રહી હતી. પરંતુ આપણે જનરેટર પર તમામ વ્યસ્થા કરી હતી. 270 હોસ્પિટલ હાલ સંપૂર્ણ રીતે કાર્યરત છે. થોડા સમયમાં તમામ હોસ્પિટલમાં જનરેટરમાંથી મુખ્ય વીજ સ્ત્રોતમાં આવી જશે. 2100 જેટલા મોબાઈલ ટાવર પણ અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1500 મોબાઈલ ટાવર ફરી કાર્યરત થઈ ગયા છે. છેલ્લી 24 કલાકમાં આ કામગીરી કરીને કમ્યુનિકેશનનું કામ થઈ ગયું છે.
કેશડોલ અંગે મુખ્યમંત્રીની જાહેરાત
મુખ્યમંત્રીએ કહ્યું કે, આશરે 2.50 લાખ લોકોને સ્થળાંતરીત કરાયા હતા. અને આ લોકોની રોજીરોટી બંધ થઈ છે. જે લોકોને 16 મેના રોજથી સ્થળાંતરીત કર્યા હતા તેવા તમામ લોકોને 7 દિવસની કેશડોલ આપવામાં આવશે. આવતીકાલથી તેમને કેશડોલ ચુકવવાની કામગીરી શરૂ થઈ જશે. જેમાં મોટા લોકોને 100 અને બાળકો માટે રૂ.60નો કેશડોલની ચૂકવણી થશે.