આજે ભારતીય કિસાન સંઘના 5 જેટલા પ્રતિનિધીઓ ઉર્જામંત્રીને મળશે, આ અગાઉ કિસાન સંઘે સરકારને આપ્યુ હતુ 72 કલાકનું અલ્ટીમેટમ
ખેડૂતોને પુરતી વીજળીની માગ મામલે આજે મહત્વની બેઠક
ઉર્જામંત્રીએ વીજળી મામલે ચર્ચા કરવા આપ્યુ આમંત્રણ
આજે કિસાન સંઘના આગેવાનો ઉર્જામંત્રી સાથે કરશે ચર્ચા
તાયફાઓ કરી કંપનીઓ અને ઉદ્યોગકારોને છાવરતી સરકાર રાજ્યના ખેડૂતોને પાયમાલ કરવા માગે છે.આવું અમે નહીં પરંતુ આક્રોષમાં જોવા મળતા રાજ્યના અન્નદાતા કહે છે.કારણ કે, આજે પાટનગરથી લઈને દરેક તાલુકાઓમાં અન્નદાકાનો આક્રોષ ભભુકી ઊઠ્યો છે અને સરકારને માત્ર 72 કલાકમાં જ વીજળીની સમસ્યાના સમાધાનનું અલ્ટીમેટમ આપ્યું હતું તે હવે પૂરું થવા જઇ રહ્યું છે. ત્યારે ખેડૂતોને પુરતી વીજળીની માગ મામલે આજે મહત્વની બેઠક યોજવા જઈ રહી છે.
ઉર્જામંત્રી કનું દેસાઇએ ચર્ચા કરવા આપ્યું આમંત્રણ
ખેડૂતોને પુરતી વીજળીની માગ મામલે આજે બેઠક યોજાશે જેમાં ઉર્જામંત્રીએ વીજળી મામલે ચર્ચા કરવા માટે 5 જેટલા ખેડૂત પ્રતિનિધીને આમંત્રણ આપ્યું છે. જેને પગલે ભારતીય કિસાન સંઘના આગેવાનો ઉર્જામંત્રી સામે બેસી ખેડૂતોના મનની વાત મૂકશે. આ બેઠકમાં વિઠ્ઠલ પટેલ, સામજી ન્યાત્રા, જગમલ આર્ય, બી.કે પટેલ, આર.કે.પટેલ જેવા ખેડૂત અગ્રણીઓ ઉર્જામંત્રી કનુ દેસાઈને મળશે મહત્વનું છે કે અગાઉ કિસાન સંઘે સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.
ખેડૂતોને 6 કલાક વીજળી મળતી થશે: ઉર્જા મંત્રી કનુ દેસાઇ
કનુ દેસાઇએ શુક્રવારની સાંજ વેળાએ જાહેરાત કરતાં કહ્યું છે કે શનિવારથી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી થશે, અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી અપાશે. ખેડૂતોને પુરતો વીજ પુરવઠો પૂરતો મળે તેની વ્યવસ્થા થશે તેમણે વીજ સંકટ પર ધ્યાન દોરતા વધુમાં જણાવ્યું કે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને કારણે ગેસ સપ્લાયને અસર થઈ હતી, ઈન્ડોનેશિયાથી કોલસાની સપ્લાયમાં પણ સમસ્યા હતી. જરૂર પડ્યે ઉદ્યોગોના પાવર સપ્લાય પર કાપ મુકીશું. પણ આ તરફ ખેડૂતો હાથમાં આવેલો કોળિયો જવા દેવા માગતા નથી અને પોતાના હક્ક સમાન 8 કલાકની વીજળીની માંગ અને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તે માટે અડગ છે. અને આજ કારણે સરકાર નમતું જોખી રહી ચર્ચાના ટેબલ પર આવવા તૈયાર થઈ ગઈ છે.
દિયોદરમાં ખેડૂતોના ધરણાં
બનાસકાંઠાના દિયોદરના વખા ગામમાં ખેડૂતોના ધરણાનો છ દિવસ થઈ ચુક્યા છે.. ખેડૂતો છેલ્લા છ દિવસથી રાતદિવસ ધરણા પર બેઠા છે.. ખેડૂતોની એક જ માગ છે કે સરકાર દ્વારા 8 કલાક વિજળી આપવામાં આવે.. પણ હવે આ આંદોલનમાં મહિલાઓ પણ જોડાઈ છે.. મહિલાઓએ સમર્થન આપ્યું છે અને મોટી સંખ્યામાં મહિલાઓ ધરણા સ્થળે પહોંચી.. આસપાસના વિસ્તારના ખેડૂતોએ પણ બાઈક રેલી યોજીને ધરણા સ્થળે પહોંચ્યા હતા.. ખેડૂતોની માગ છે કે જ્યાં સુધી 8 કલાક વીજળી નહીં આપવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે..
ડીસા ખાતે ખેડૂતોની અટકાયત
બનાસકાંઠા જીલ્લામાં વીજળીના પ્રશ્નને લઈ ખેડૂતો હવે મેદાનમાં ઉતરી પડ્યા છે. ડીસા ખાતે ખેડૂતોએ વીજળીના પ્રશ્નને લઈ ડીસા ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજ્યો હતો.પરંતુ પોલીસ ધરણાંની મંજૂરી ના આપતા ધરણાં કરવા વીજ કંપનીની કચેરી ખાતે પહોંચેલા ખેડૂતોની પોલીસ અટકાયત કરી હતી. વીજળીને લઈ આકરા પાણીએ આવેલા ખેડૂતોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે ખેડૂતો આગામી સમયમાં વીજળી અને પાણીના મુદ્દે હજુ પણ આક્રમક કાર્યક્રમો આપશે
જેતપુરમાં ખેડૂતોનો અનોખો વિરોધ
જેતપુરમાં અપૂરતી વીજલી મળતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ જ કારણ છે કે આજે ખેડૂતો PGVCL કચેરીએ ધરણા પર બેઠા હતા.. ખેડૂતો કોલસા અને છાણા લઈને કચેરી બહાર વિરોધ પ્રદર્શન પર બેઠા હતા. ખેડૂતોનું કહેવું છે કે ઉદ્યોગોને 24 કલાક વીજળી મળતી હોય તો ખેડૂતોને 8 કલાક પુરતી વીજળી મળવી જ જોઈએ. પુરતી વીજળી આપવાની માગ સાથે ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો અમારી માગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિવારજનો સાથે કચેરી બહાર આવીને બેસી જઈશું.