યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને લઈને મહત્વના નિર્ણયો કરાયા છે. યાત્રાધામ અંબાજીમાં આવતા ભક્તો સાથે પાર્કિંગમાં દાદાગીરી, પ્રસાદમાં ઉઘાડી લૂંટ અને ગુણવત્તા વિનાની વસ્તુઓ વેચાતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈ અંબાજીના કલેક્ટર આનંદ પટેલે યાત્રિકોના હિતમાં મહત્વના નિર્ણયો કર્યા છે. કલેક્ટર આનંદ પટેલે પાર્કિંગને લઇને દાદાગીરી કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
સાથે જ પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ,તોલમાપ અને રેવન્યુ પંચાયત ગ્રાહક સુરક્ષાની ટીમની રચના કરવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત યાત્રિકોને ગુણવત્તા યુક્ત અને વ્યાજબી ભાવે પ્રસાદ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. જેના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદના 3 કેન્દ્રો ખોલશે અને યાત્રિકોની સગવડતા માટે વિશાળ પાર્કિંગ પણ બનાવશે. તેમજ યાત્રિકોની સુરક્ષા જળવાય એ હેતુથી અંબાજીમાં જાહેર માર્ગ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર કાયમી ધોરણે ખોલવામાં આવશે.