અત્યાર સુધી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે એફિડેવિટ જરૂરી હતી પણ હવે મહેસૂલ વિભાગના નિર્ણય અનુસાર સેલ્ફ ડિકલેરેશન કરી શકાશે
ખેડૂત ખરાઈ પધ્ધતિમાં કારોયો સુધારો
ઓનલાઈન પ્રમાણપત્ર માટે એફિડેવિટ પ્રક્રિયા કરાઈ રદ
એફિડેવિટના બદલે સેલ્ફ ડિકલેરેશન કરી શકાશે
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખેડૂત ખરાઈ પધ્ધતિમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જેના લીધે ખેડૂત ખરાઈ માટે હવે ઓનલાઈન પ્રમાણપત્ર માટે એફિડેવિટ પ્રક્રિયા રદ્દ કરી દેવામાં આવી છે. એફિડેવિટ ના બદલે સેલ્ફ ડિકલેરેશન કરી શકાશે તેવો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે અત્યાર સુધી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે એફિડેવિટ જરૂરી હતી. ખેડૂતે ઓનલાઈન 50 રૂ. ની એફિડેવિટ કરવી પડતી હતી પણ હવે હવે સેલ્ફ ડિક્લેરેશન ઑનલાઇન અપલોડ કરવાથી પ્રમાણપત્ર મળી જશે
કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની અમલવારી શરૂ
16 ફેબ્રુઆરીને બુધવારે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાબતે પ્રવકતા મંત્રી જીતુ વાઘણીએ લેવાયેલા નિર્ણય પર માહિતી આપતા કહ્યું હતું કે મહેસુલ વિભાગે એફિડેવિટ માંથી મુક્તિનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત કરતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને અભિનંદન આપતા કહ્યું હતું કે કેટલીક જગ્યાએ અમલવારીનો પ્રશ્ન થતો હતો જેથી હવે મહેસૂલી કામમાં એફિડેવિટ માંથી મુક્તિ આપી દેવામાં આવશે. જેથી CMએ સેલ્ફ ડિકરેશન બાબતે મુખ્ય સચિવને સૂચના આપી છે. જે ભાગ રૂપે સૌથી પહેલા ખેડૂત ખરાઈ પધ્ધતિમાં સોગંધનામું (એફિડેવિટ) ના બદલે સેલ્ફ ડિકલેરેશન થઈ શકશે તેનો નિર્ણય મહેસૂલ વિભાગ દ્વારા આજે લઈ લેવામાં આવ્યો છે.
પહેલા કઈ રીતે ખેડૂત ખરાઈનું થતું હતું કામ?
હાલમાં ગુજરાતમાં ખેડુત ખરાઈ પ્રમાણપત્રની પધ્ધતિ ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં અગાઉ જે પધ્ધતિ નક્કી કરવામાં આવેલ તેના બદલે સબંધિત જીલ્લાના પ્રાન્ત અધિકારીને ખેડુત ખરાઈ પ્રમાણપત્ર આપવા માટે અધિકારો આપેલ છે અને આ ઓનલાઈન અરજી સાથે માહિતી સબંધિત અરજદાર ખેડુતે રજૂ કરવાની છે અને જેમાં સોગંદનામા સિવાય કોઈ આધારપુરાવા જેમ કે ૭/૧૨, ૮અ હક્કપત્રક નોંધોની નકલ રજૂ કરવાની થતી નથી. પણ હવે નવા પરિપત્ર બાદ સોગંદનામાંના બદલે માત્ર સ્વ પ્રમાણિત નકલ પણ ઑનલાઇન રજૂ કરવાથી ખેડૂત ખરાઈ માન્ય ગણાશે.