'ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં રૂટીન કામગીરી ચાલી રહી છે'
'આ કાર્યવાહીને ધર્મ સાથે કોઇ લેવા દેવા નથી'
રાજ્યમાં જાહેર માર્ગો પર ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી બાદ હવે સ્થાનિક તંત્ર ના આ નિર્ણયથી રાજનીતિ શરૂ થઈ છે. અમદાવાદ મનપામાં વિરોધપક્ષમાં રહેલ કોંગ્રેસ-એઆઇએમઆઈએમ એ દેખાવ કરતા મેયરને આવેદનપત્ર આપી ઈંડા-નોંવેજની લારીઓ હટાવવાનો નિર્ણય પરત ખેંચવાની માંગણી કરી છે.
કામગીરી ભેદભાવ પૂર્ણ ના હોવાની સ્પષ્ટતા કરી
સોમવારે અમદાવાદ મનપા એસ્ટેટ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ અમદાવાદ શહેરમાં જાહેર માર્ગ પર વેચાણ કરતા ઈંડા- નોનવેજ ની લારીઓ બંધ કરવા નિર્દેશ આપ્યા હતા. ત્યાર બાદ કામગીરી શરૂ કરાઇ અને વિરોધ પણ થઈ રહ્યો છે ત્યારે મેયર કિરીટ પટેલે આ કામગીરી ભેદભાવ પૂર્ણ ના હોવાની સ્પષ્ટતા કરી છે. મેયરે સ્પષ્ટ કર્યું કે અમદાવાદ મનપા ટ્રાફિક સમશ્યાઓ હોય ત્યાં રૂટિન કામગીરી ચાલી રહી છે, આ નિર્ણયને ધર્મ-જાતિ સાથે કોઈ લેવાદેવા નથી. લોકોને જે ખાવું હોય એ ખાવા સ્વતંત્ર છે.
AIMIMના કાર્યકરો ઇંડાઓ લઈ મેયરને ગિફ્ટ આપવા પહોંચ્યા
વડોદરા, રાજકોટ, ભાવનગર બાદ આજે અમદાવાદ મનપા વિસ્તારમાં પણ જાહેર રસ્તા ઉપરની ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની કામગીરી મનપાનાં એસ્ટેટ વિભાગે કરી. ભાજપ સાશીત મનપા માં આવા પ્રકારના નિર્ણયની ટીકાઓ થઈ રહી છે ત્યારે અમદાવાદ મનપા માં વિરોધી પાર્ટી AIMIM ના કાર્યકરો ઈંડા લઈ અમદાવાદ મનપાની કચેરીએ પહોંચ્યા અને માંગણી કરવામાં આવી કે મનસ્વી નિર્ણયને રદ કરવામાં આવે. AIMIM ના કાર્યકરો ઇંડાઓ લઈ મેયરને ગિફ્ટ કરવા માંગતા હતા. પરંતુ પોલીસે ઇંડાઓ ઝુંટવવા પ્રયાસ કરતા તૂટી ગયા હતા. તો કોંગ્રેસે પણ મનપા માં દેખાવો કરી મેયર સમક્ષ માંગણી કરી હતી કે ઈંડા ની લારીઓ હટાવવાનો તઘલકી નિર્ણય રદ કરવામાં આવે. અમદાવાદમાં 20 લાખથી વધુ ઇંડાનું વેચાણ દર્શાવે છે કે બધા ધર્મના લોકો ખાય છે. જો દબાણ થતું હોય તો ઈંડા સાથે પાણીપુરી અને ફાફડાની લારીઓ પણ હટાવો.
ભારતનું બંધારણ લોકોને ખાવાની સ્વતંત્રતા આપી રહ્યું છે ત્યારે આ પ્રકારના નિર્ણયની ટીકા થઈ રહી છે. જો કે આ ચૂંટણીનું વર્ષ છે અને ભાજપ માટે ગુજરાત હંમેશા ટેસ્ટર ની ભૂમિકા ભજવતું હપય છે ત્યારે નિર્ણય અંગે ગમે ત્યારે પુનઃવિચારણા પણ થઈ શકે છે.