તમે હેલ્ધી હોવ અને વજન પણ એકંદરે બરોબર હોય કે થોડુ ઘણું વધારે હોય તો કેટલી કેલેરી પેટમાં પધરાવો છો તેની ચિંતા કરવાની જરુર નથી, તો તમે ખોટા છો. એકંદરે હેલ્ધી વ્યકિત પણ જો તેની રોજિંદી જરુરિયાતમાં 300 કેલેરીનો ઘટાડો કરે તો આરોગ્ય માટે બહુ સારી વાત છે.
ભવિષ્યમાં પણ કોલસ્ટરોલ, બીપી, ડાયાબિટીશ અને હાર્ટની બિમારી થવાની શકયતા ઘણી ઘટી જાય છે. 'ધી લેન્સેટ ડાયાબિટીશ એન્ડ એન્ડોક્રાઇનોલોજી' જર્નલમાં પ્રસિધ્ધ એક રિસર્ચ અનુસાર વજન ઘટાડવાથી આ બધા ફાયદા થાય છે પરંતુ રોજબરોજ લેવાતી કેલેરીની પણ આરોગ્ય પર ગાઢ અસર પડે છે. જરુર કરતા ઓછી કેલેરી લેવાથી શરીરના મેટાબોલિઝમ પર જબરદસ્ત અસર થાય છે. જોકે તેને હજુ પુરેપુરી રીતે સમજી શકાયુ નથી.
રિસર્ચ માટે પસંદ કરાયેલા લોકો પરના પ્રયોગે પુરવાર કર્યું છે કે માત્ર કેલેરી ઓછી કરવાથી તેની આરોગ્ય પર બહુ હકારાત્મક અસર જોવા મળી હતી. અનેક લોકોને સામાન્ય બળતરા કે સોજાની સમસ્યા હતી જે દુર થઇ ગઇ હતી. આ સમસ્યા આગળ જતા હાર્ટની બિમારી અને કેન્સરને આમંત્રણ આપી શકે છે.
આપણા આયુર્વેદમાં તો ભુખથી ઓછુ ખાવાની સલાહ આપેલી જ છે. તેમ છતાં સરેરાશ ભારતીયો જંકફુડ અને સોફટ ડ્રીંકસ દ્વારા ઘણી વધુ કેલેરી પેટમાં પધરાવે છે. કેટલાક લોકોને રાતના ભોજન પછી સુતા પહેલા આચરકુચર પેટમાં પધરાવાની ટેવ હોય છે. લંચ અને ડીનર વચ્ચે પણ લોકો ભુખ ન હોય તો પણ ખાતા રહે છે. આ ટેવ પણ છોડી દેવામાં આવે તો પણ કેલેરીમાં ઘટાડો થઇ જાય છે.