કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો ચોમેર વિરોધ થઇ રહ્યો છે. બિહારમાં અગ્નિપથ વિરોધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.તેમાં પણ ખાસ કરીને રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. વળી ભારત બંધનું પણ એલાન આવામાં આવ્યુ છે જેને લઇને ગુજરાત પોલીસ સતર્ક બની છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં પશ્ચિમ રેલવેની 8 જેટલી ટ્રેનો પ્રભાવિત થઇ છે.
બિહારમાં ચાલી રહેલા આંદોલનની અસર ટ્રેન વ્યવહાર પર
બિહારમાં ચાલતાં અગ્નિપથ વિરોધની અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં પશ્ચિમ રેલવેની 8 ટ્રેનો પ્રભાવિત થઇ છે. જ્યારે 6 ટ્રેનો રદ કરાઇ છે અને 2 ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો છે. ઉધના -દાનાપુર અને મુઝફરપુર- સુરત સહિતની ટ્રેનો પ્રભાવિત થઈ છે. જ્યારે બાંદ્રા-સહરસા એક્સપ્રેસ સહિત 6 ટ્રેન રદ કરાઈ છે.
આ ટ્રેનો કરવામાં આવી રદ
મહત્વનું છે કે બિહારના અલગ અલગ વિસ્તારોમાં અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જેની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. આંદોલનને પગલે ખાસ કરીને પશ્ચિમ રેલવે વધારે પ્રભાવિત થઇ છે. જેમાં ૧૯ જુનની અમદાવાદ-પટના એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ રદ કરી દેવાઇ હતી. તા.20 જુનની અમદાવાદ-બરૌની એક્સપ્રેસ, તા.૨૨ જુનની બરૌની-અમદાવાદ એક્સપ્રેસ તેમજ તા.૨૧ જુનની પટના -અમદાવાદ એક્સપ્રેસ પણ રદ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ભારતીય સેનામાં ૪ વર્ષની ભરતી વાળી અગ્નિપથ યોજનાને લઇને બિહારમાં ચાલી રહેલા હિંસક આંદોલનને લઇને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદની પણ પાંચ ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે.
શું છે અગ્નિપથ યોજના ?
કેન્દ્ર સરકાર સેનામાં ભરતી માટે નવી યોજના લઈને આવી છે અને તે છે અગ્નિપથ. આ યોજનામાં યુવાનો પાસે ચાર વર્ષ માટે દેશ સેવા કરવાનો મોકો મળશે જેમાં સારી સેલેરી અને ચાર વર્ષની સેવા માટે 10 લાખથી વધુની રકમ એક સાથે આપવામાં આવશે. સરકારે મંગળવારે દાયકાઓ જૂની સંરક્ષણ ભરતી પ્રક્રિયાના આમૂલ પરિવર્તન કરી આર્મી, નેવી અને એર ફોર્સમાં સૈનિકોની ભરતી કરવા માટે 'અગ્નિપથ' નામની યોજનાની જાહેરાત કરી. આ અંતર્ગત સૈનિકોની ભરતી ચાર વર્ષના ટૂંકા ગાળા માટે કરારના આધારે કરવામાં આવશે.સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ યોજના હેઠળ ત્રણેય સેવાઓમાં આ વર્ષે 46,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે અને પસંદગી માટેની પાત્રતાની ઉંમર 17.5 વર્ષથી 21 વર્ષ સુધી હશે. આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારોનું નામ 'અગ્નિવીર' રાખવામાં આવશે.
વિરોધ શા માટે ?
સેનામાં માત્ર 4 વર્ષની જ નોકરી કરી દેવાથી છેલ્લા પાંચ વર્ષથી તૈયારીઓ કરી રહેલા યુવાનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.આર્મી, નેવી અને એર ફોર્સમાં સૈનિકોની ભરતી માત્ર 4 વર્ષ માટે જ કેમ ? 4 વર્ષ બાદ રિટાયર્ડ થયા પછી શું ? સેનામાં જોડાવા ઇચ્છતા યુવાનો છેલ્લા 5 વર્ષથી તનતોડ મહેનત કરી રહ્યા છે તેનું શું ? 4 વર્ષની નોકરીમાં 6 મહિનાની ટ્રેનિંગથી કેવી રીતે થશે દેશ સેવા ? આવા અનેક સવાલોને લઇને દેશભરમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.