વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ કૌભાંડ અંગેના VTV NEWSના અહેવાલની અસર દેખાઈ છે. રાજ્ય સરકારની સૂચના બાદ મામલતદારોની 12 ટીમોએ કુલ 27 સસ્તા અનાજની દુકાનોમાં તપાસ કરી છે.
અનાજ કૌભાંડ મામલે VTV ન્યૂઝના અહેવાલની અસર
રાજ્ય સરકારે વડોદરા કલેક્ટરને આપ્યા હતા આકસ્મિક ચેકિંગના આદેશ
સરકારના આદેશ બાદ કલેક્ટરે અનાજની દુકાનોમાં કરાવી આકસ્મિક તપાસ
વડોદરા શહેરની પાંચ જેટલી સસ્તા અનાજની દુકાનોનું VTV ન્યૂઝ દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં આ દુકાનોમાં એક વ્યક્તિના નામના 2-2 રેશનકાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ આ 2-2 રાશનકાર્ડ અને બોગસ આધારકાર્ડથી અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ થયો હતો. VTVના અહેવાલ બાદ પુરવઠા વિભાગની ટીમ દોડતી થઈ હતી. અનિલ ભાભોરની દુકાનમાં પુરવઠા નિરીક્ષક અને પુરવઠા ઝોનલ-6ના અધિકારીની ટીમ તપાસ માટે પહોંચી હતી.
મામલતદારોની 12 ટીમોએ સસ્તા અનાજની દુકાનમાં તપાસ હાથ ધરી
અનાજ કૌભાંડ મામલે VTV ન્યૂઝના અહેવાલ બાદ રાજ્ય સરકારે પણ વડોદરા કલેક્ટરને સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક ચેકિંગના આદેશ કર્યા હતા. સરકારના આદેશ બાદ કલેક્ટરે અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ કરાવી હતી. વડોદરા કલેક્ટરના આદેશ પર શહેર અને જિલ્લાઓની અનેક અનાજની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મામલતદારોની 12 ટીમોએ કુલ 27 સસ્તા અનાજની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જેની કાર્યવાહીમાં અનેક અનાજની દુકાનોમાં ગેરરીતિ આવી સામે હતી. જેનો રિપોર્ટ મામલતદારોએ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને સોંપ્યો હતો.
અનિલ ભાભોરની દુકાન ખાતે પહોંચી હતી VTVની ટીમ
વિગતવાર વાત કરીએ તો સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણની યોજના ચલાવી રહી છે. પરંતુ વડોદરા શહેરમાં રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ગરીબો માટેનું સરકારી અનાજ બરોબર કરવાના કાળા કરતૂતનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ બાબતની તપાસ માટે 15 દિવસ પહેલા ખુદ પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા. જેમને વડોદરાની 12 જેટલી દુકાનોમાં ગેરરીતિની તપાસ કરવાની હતી. એ તપાસનું શું થયું તે ભગવાન જાણે પરંતુ પ્રજાભિમુખ પત્રકારત્વને વરેલા VTVએ પુરવઠા તંત્ર અને દુકાનદારોની એકબીજાને છાવરવાની મિલિભગતનો પર્દાફાશ કરતાં પુરાવા એકઠા કર્યા હતા.
સસ્તા અનાજની દુકાનમાં એક જ વ્યક્તિના નામે 2-2 રાનકાર્ડ બન્યા
VTV ન્યૂઝની ટીમ અટલાદરામાં આવેલી અનિલ ભાભોરની દુકાન ખાતે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા રેશનકાર્ડધારકોને આપવામાં આવતા અનાજમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું હતું. અનિલ ભાભોરની સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકો પાસેથી રૂપિયા લેવામાં આવતા હતા. મફતમાં અનાજની જાહેરાત કર્યા બાદ પણ ગ્રાહક પાસેથી રૂપિયા લેવાતા હતા. સાથે જ સસ્તા અનાજની દુકાનમાં એક જ વ્યક્તિના નામે 2-2 રાશનકાર્ડ બન્યા હતા.
2 રાશનકાર્ડથી અનાજ બારોબાર સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ
આ ઉપરાંત શહેરમાં આવેલી દક્ષાબેન જગદીશભાઈની હંગામી દુકાનમાં 23 કાર્ડધારકોના 2-2 રાશનકાર્ડ બનાવીને કૌભાંડ આચરાવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. તો તૈલી બંસીલાલ ભગવાનલાલની દુકાનમાં 22 કાર્ડધારકો, જય હરસિદ્ધિ દુકાનમાં 20 કાર્ડધારકો, લક્ષ્મીબેન કૈલાશ ખત્રીની દુકાનમાં 10 કાર્ડધારકો અને ભાભોર અનિલ ટીસાભાઈની દુકાનમાં 7 કાર્ડધારકોના 2-2 રાશનકાર્ડ બન્યા હતા.
બોગસ આધારકાર્ડ નંબરથી અનાજ સગેવગે કરાયાનો પણ ખુલાસો
આ પહેલા તરસાલીની જય હરસિદ્ધિ નામની સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગેરરીતિ થઇ રહી હોવાનું સામે આવ્યું હતું. રાજ્ય સરકારે સોંપેલી 187 કાર્ડધારકોની યાદી VTVને હાથ લાગી હતી. જે બાબતે મહત્વના ખુલાસા થયા હતા. રાજ્ય સરકારે સોંપેલી 187 કાર્ડધારકોની યાદીમાં દુકાનદાર રાજુ ખટીકે 1થી 5 વર્ષના 22 બાળકોને અનાજ આપ્યાનો ઘટસ્ફોટ થયો હતો. 85 જેટલા કાર્ડધારકોના સરનામા જ નથી. મૃત વ્યક્તિઓના નામે પણ બારોબાર અનાજ સગેવગે કરાયાનો ઘટસ્ફોટ થયો હતો. બોગસ આધારકાર્ડ નંબરના આધારે બારોબાર અનાજ સગેવગે કરાયાનો પણ ખુલાસો થયો હતો.
અનાજ કૌભાંડ મામલે કલેકટર એ.બી ગોરનું નિવેદન
અનાજ બારોબાર સગેવગે થતું હોવાના કૌભાંડનો VTVએ પર્દાફાશ કર્યા બાદ વડોદરા કલેક્ટર એ.બી ગોરે જણાવ્યું હતું કે, 'સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ મામલે તપાસ ચાલુ છે. તપાસ સમયસર અને ઝડપથી થાય એવી સૂચના આપવામાં આવી છે.' જિલ્લાના મુખ્ય પુરવઠા નિરીક્ષક આર.યુ પ્રાંખડાએ જણાવ્યું હતું કે, 'એક વ્યક્તિના નામે બે રાશનકાર્ડની યાદી આજે અમને મળી છે. અમે યાદીની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું. દુકાન પર આકસ્મિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. જેમને બોગસ રાશનકાર્ડ બનાવ્યા છે એવા અધિકારી સામે કાર્યવાહી કરાશે.'.