તૌકતે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલથી વાતાવરણમાં પલટો જોવા મળશે. 15 તારીખે દ્વારકા, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમરેલી અને કચ્છ, તાપી, આહવા, દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે. 16 તારીખે જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. 17 તારીખે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 18 અને 19 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી 31મેથી કેરળમાં ચોમાસાનો પ્રરંભ થઈ શકે છે. હવામાન વિભાગનું માનીએ તો 31 મેથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો પ્રરંભ થઈ શકે છે. કેન્દ્રીય હવામાન વિભગે વરસાદની આગાહી કરતાં કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. તેમણે કહ્યું કે આ વર્ષે દેશમાં 96થી 104 ટકા વરસાદ રહેવાનું અનુમાન છે.
તૌકતે વાવાઝોડાનું સંકટ
ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે વધુ એક આફત આવી પડે છે. કોરોના બાદ હવે રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. જેને લઇ રાજ્યના અનેક જિલ્લામાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌ પ્રથમ વાત કરીએ તો તૌકતે વાવાઝોડાની દહેશતને પગલે પોરબંદરના બંદર પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. બંદર પર 1 નંબરનું સિગ્નલ લાગવાયું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપા દેવામાં આવી છે. તો અમરેલીના જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં 1-નંબર સિગ્નલ લગાવી દેવાયું છે.
મધ દરિયે હોવાથી તમામ બોટને પરત ફરવા સૂચના
જાફરાબાદની મોટા ભાગની બોટો મધ દરિયે હોવાથી તમામ બોટને પરત ફરવા સૂચના અપાઇ છે. તમામ બોટોને કિનારે લાવવાનો તંત્રએ આદેશ કર્યો છે. આ તરફ દેવભુમિ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ અલર્ટ બન્યું છે. સંભવિત વાવાઝોડાના પગલે કલેકટરે અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી ચર્ચા કરી હતી.જેમાં દરિયાકાંઠાના ગામોનો સર્વે કરાયો હતો. સંભવિત વાવાઝોડાને પગલે પાણી, ફૂડપેકેટ અને અન્ય વ્યવસ્થાનું આયોજન કરી દેવા તમામ અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી દીધી છે.