અમદાવાદમાં સ્કૂલની સેફ્ટીને લઇ વીટીવીના રિયાલિટી ચેકની અસર જોવા મળી છે. વીટીવી દ્વારા અમદાવાદના ઇસનપુરમાં આવેલી મુક્તજીવન સ્કૂલમાં રિયાલિટી ચેક કર્યું જેમાં ફાયર સેફ્ટીને લઇ સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે વીટીવીના અહેવાલ બાદ ફાયર ચીફે તાત્કાલિક મુક્ત જીવન સ્કૂલને બંધ કરવાની સૂચના આપી દીધી છે.
વીટીવીના રિયાલિટી ચેક બાદ ફાયર વિભાગ દોડતું થયું છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલી મુક્તજીવન સ્કૂલમાં સુરક્ષાના અભાવને લઇ વીટીવીએ અહેવાલ દર્શાવ્યો હતો જે બાદ ફાયર વિભાગની ટીમ સ્કૂલમાં તપાસ કરવા પહોંચી હતી.
મુક્તજીવન સ્કૂલમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે શાળાની નીચે મોટી સંખ્યામાં ફેક્ટરીઓ ધમધમી રહી છે. જેમાં કેટલીક ફેક્ટરીઓમાં બોઈલર પણ રાખવામાં આવ્યા છે. જો આગ લાગે કે બોઈલર ફાટવાની કોઈ ઘટના બને તો આ સ્કૂલમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે. જેને લઇને ફાયર ચીફે તાત્કાલિક મુક્ત જીવન સ્કૂલને બંધ કરવાની સૂચના આપી દીધી છે.
ફાયર ચીફ એમ.એફ.દસ્તુએ ટીમ સાધે સ્કૂલની ચકાસણી કરી. જેમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો. જેને લઇ જ્યાં સુધી હવે સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્કૂલને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
જો કે અહિંયા સવાલ એ છે કે, ડીઇઓ દ્વારા આવી સ્કૂલોને પરમિશન જ કેમ આપવામાં આવે છે? અને મનપા દ્વારા પણ કેમ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી? હંમેશા મીડિયામાં અહેવાલ આવ્યા બાદ જ તંત્ર કેમ જાગે છે?