બંગાળનાં ઉપસાગરમાં હળવા દબાણને કારણે સર્જાયેલું વાવાઝોડું ફેની ભયંકર સ્વરૂપ પકડયા પછી શુક્રવારે સવારે ૮ કલાકે તોફાની પવન અને ભારે વરસાદ સાથે ઓડિશામાં ત્રાટક્યું હતું. કલાકનાં ૨૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષો અને કાચા મકાનો પડી ગયા હતા. ફેની વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ફેણી વાવાઝોડાના કારણે કોલકાતા એરપોર્ટ બંધ રખાયું છે. જેને લઇ અમદાવાદ-કોલકાતાની ચાર ફ્લાઇટ રદ કરી દેવાઇ છે અને મુસાફરોને ટિકિટ રિફંડ આપી દેવાયું છે.
તો અમદાવાદની 5 ઇન્ટરનેશનલ સહિત 13 ફ્લાઇટ મોડી પડી છે. ત્યારે ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને ભારે સમસ્યામા સામનો કરવો પડી રહ્યો છે. ફેની વાવાઝોડાના કારણે 6 ટ્રેનને અસર પડી છે. અમદાવાદ વિભાગની 4 ટ્રેન રદ કરી દેવાઇ છે. જ્યારે સલામતીના કારણોસર ગાંધીધામ અને ઓખાથી પુરી જવા ઉપડેલી ટ્રેન ડાયવર્ટ કરી દેવાઇ છે. તો રેલવેતંત્ર દ્વારા અમદાવાદ-હબીબગંજ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે.
ઓડિશામાં તોફાની પવન અને ભારે વરસાદને કારણે ૮નાં મોત થયાં હતાં. સત્તાવાળાઓનાં જણાવ્યા મુજબ મૃત્યુ આંક વધવાની શક્યતા છે. ઓડિશામાં ૧૬૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. વીજળીનાં અને ટેલિફોનના થાંભલા પડી જતા લાખો લોકો અંધારપટમાં ફસાયા હતા તથા સંપર્કવીહોણા થયા હતા.