ભાજપ નેતા કુલદીપ બિશ્નોઈએ કહ્યું, ચિત્તોને ખોરાક માટે ચિતલ અને હરણ મોકલવાની માહિતી આવી રહી છે, જે ખૂબ જ નિંદનીય છે
કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને શિકાર કરવા માટે હરણ મોકલતાં વિવાદ
ભાજપ નેતા કુલદીપ બિશ્નોઈએ ટ્વિટ કરી ઉઠાવ્યા સવાલ, કેન્દ્ર સરકાર તપાસ કરે
ચિત્તાને શિકાર કરવા માટે હરણ મોકલવાએ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કાર્ય: કુલદીપ બિશ્નોઈએ
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાને શિકાર કરવા માટે હરણ મોકલવામાં આવ્યા હોવાના અહેવાલો પર હવે નવો વિવાદ ઉભો થયો છે. હાલમાં જ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા કુલદીપ બિશ્નોઈએ આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. કુલદીપ બિશ્નોઈએ બિશ્નોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી ગણાવીને તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે આને તાત્કાલિક બંધ કરવામાં આવે.
ભાજપ નેતા કુલદીપ બિશ્નોઈએ સોમવારે ટ્વીટ કરીને આ મામલાની તપાસની માંગ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, ચિત્તોને ખોરાક માટે ચિતલ અને હરણ મોકલવાની માહિતી આવી રહી છે, જે ખૂબ જ નિંદનીય છે. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે, રાજસ્થાનમાં લુપ્ત થવાના આરે પહોંચી ગયેલી હરણની પ્રજાતિ અને બિશ્નોઈ સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને આ બાબતની તપાસ થવી જોઈએ અને જો આવું છે તો તેને તાત્કાલિક બંધ કરવામાં આવે.
चीतों के भोजन हेतु चीतल व हिरण भेजने की सूचनाएं आ रही हैं,जो अति निंदनीय है।मेरा केन्द्र सरकार से अनुरोध है कि राजस्थानमें विलुप्त होने की कगार पर पहुंचे हिरणों की प्रजाति और बिश्नोई समाज की भावनाओं को देखते हुए इस मामले की जांच करवाई जाए और अगर ऐसा है तो तुरंत इस पर रोक लगाई जाए
નોંધનીય છે કે , બિશ્નોઈ સમુદાય કાળા હરણ પ્રત્યે ધાર્મિક આસ્થા ધરાવે છે. રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં બિશ્નોઈ સમાજના અનેક સંગઠનોએ હરણને ચિત્તા પાસે મોકલવા સામે વિરોધ દર્શાવ્યો છે. રાજકીય પક્ષો પણ તેને મુદ્દો બનાવવા લાગ્યા છે. 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના શ્યોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા છે. આફ્રિકાથી ભૂખ્યા પેટે આવેલા ચિત્તાઓની ભૂખ સંતોષવા રાજગઢ જિલ્લાના નરસિંહગઢ ચિડીખો વન અભયારણ્યમાંથી 181 ચિત્તલો મોકલવાના સમાચાર છે.