ઓડિશા સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસમાં ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
આગામી ત્રણ દિવસ ઓડિશામાં પડશે ભારે વરસાદ
બિહારમાં વીજળી અને વાવાઝોડાના કારણે 11ના મોત
દેશના અનેક રાજ્યોમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. દેશમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં હજુય વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં 21 સપ્ટેમ્બર સુધી અને પૂર્વ મધ્યપ્રદેશમાં તારીખ 20 અને 22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું અનુમાન સેવવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઓછા દબાણના કારણે આગામી ત્રણ દિવસમાં ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
તેલંગાણા, ઝારખંડ, પૂર્વ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ તેલંગાણા, ઝારખંડ, પૂર્વ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મધ્યમ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન દેશમાં પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.
આગામી બે દિવસમાં ચોમાસું પરત ખેંચાવાની પ્રક્રિયા શરૂ થશે
હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, આગામી બે દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પરત ખેંચાવાની પ્રક્રિયા શરૂ થશે. IMDએ જણાવ્યું કે, "ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને કચ્છમાંથી આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પરત ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે." વિભાગના જણાવ્યા અનુસાર, ભારતમાં સાત ટકા વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત આઠ રાજ્યોમાં ઓછો વરસાદ વરસ્યો છે, જે આ ખરીફ સિઝનમાં કૃષિ ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે.
ઝારખંડ, દિલ્હી, પંજાબમાં ઓછો વરસાદ
ઝારખંડ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, મિઝોરમ અને મણિપુર એવા અન્ય રાજ્યો છે કે જ્યાં વરસાદ ઓછો નોંધાયો છે. તમને જણાવી દઇએ કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તારીખ 1 જૂનથી શરૂ થાય છે અને 30 સપ્ટેમ્બર સુધી શરૂ રહે છે. ભારતમાં 1 જૂનથી 19 સપ્ટેમ્બરની વચ્ચે 872.7 મિમી વરસાદ નોંધાયો હતો, જે આ સમયગાળા દરમિયાન 817.2 મિમીના સામાન્ય વરસાદ કરતાં 7 ટકા વધારે છે.
બિહારમાં વીજળી પડવાથી તેમજ વાવાઝોડાના કારણે 11ના મોત
સોમવારે બિહારના વિવિધ વિસ્તારમાં વીજળી પડતા તેમજ વાવાઝોડાના કારણે 11 લોકોના મોત નિપજ્યા હતા. આથી, મુખ્યમંત્રી નીતિશ કુમારે દરેક પીડિત પરિવારના સભ્યોને રૂ. 4-4 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તેઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વાવાઝોડા અને વીજળીના કારણે પૂર્ણિયા અને અરરિયામાં ચાર-ચાર અને સુપૌલમાં ત્રણ લોકોના મોત થયા હતા. તેઓએ કહ્યું હતું કે, "પીડિત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે". તેઓએ જણાવ્યું કે, તમામ મૃતકોના નજીકના સંબંધીઓને તાત્કાલિક રૂ. 4 લાખની વળતરની રકમ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ લોકોને ખરાબ હવામાનમાં સતર્ક રહેવા અને અકસ્માતો ટાળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલ સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરી હતી.