રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 અને 13 જૂનના રોજ વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 100 કિમીની ઝડપે પવનની સાથે વરસાદ પડશે તેવી સંભાવના છે.
અરબી સમુદ્રમાં સર્જાઈ લો પ્રેશર સિસ્ટમ
અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. જેથી તે આગળ ધીરે-ધીરે વધીને ઉત્તર- ઉત્તર પશ્ચિમ તરફ વધશે. જેના પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવાઈ છે. ડિપ્રેશન વેરાવળથી દક્ષિણ પૂર્વથી 930 કિલોમીટર દૂર છે.
રાજ્યના તમામ પોર્ટ પર અલર્ટ
રાજ્યના તમામ પોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જામનગર, પોરબંદર. ઉના, જાફરાબાદ, વેરાવળ સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 12 જૂનથી રાજ્યમાં વરસાદની અસર શરૂ થશે. 13 જૂનના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
અમરેલીના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જાફરાબાદ ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવ્યું છે. હવામાન વિભાગે સમુદ્રમાં પવન સાથે વાવાઝોડું આવે તેવી આગાહી કરી છે. ત્યારે સૂચનાને લઇ મોટાભાગની બોટ જાફરાબાદ બંદર પર પહોંચી છે. હવામાન વિભાગના અધિકારી જયંત સરકારે જણાવ્યું હતું કે અમે સતત રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છીએ.
12 અને 13 જૂને વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા 12 અને 13 જુનના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, રાજકોટ અને કચ્છમાં વરસાદની શક્યતાઓ હોવાનું જણાવાયું છે.