શનિવારે ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી ગયો હતો. જેમાં સુરેન્દ્રનગરનો પારો 42 ડીગ્રી પહોંચી ગયો હતો અને તે રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. આ સિવાય રાજકોટ, કંડલા, અમેરલી, ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન રહ્યુ હતુ. હવે આવતા અઠવાડિયે એટલે કે કાલથી ગરમીનો પારો વધારે ઊંચો જવાનો છે. ગરમી થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સ્કૂલના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
આજે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડીગ્રી પર પહોંચવાનો છે. માટે બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી કારણે બહાર ના નીકળવાની સલાહ આપવામનાં આવી રહી છે. આ સમયમાં બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવાની જરુર છે. હવામાન વિભાગની વેબસાઇટ અનુસાર, “9 અને 10 તારીખ દરમિયાન સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છમાં હિટવેવ રહેશે.'' આ સાથે રાજ્યના અન્ય ભાગોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે.
ગરમીમાં સતત થઈ રહેલા વધારાને કારણે લૂ લાગવાની શક્યતાઓ વધી છે. લાંબા સમય સુધી સીધા તડકામાં રહેવાથી સનબર્ન, સનસ્ટ્રોક જેવી સમસ્યાઓ વધી શકે છે. ગરમીના કારણે 108ના સ્ટાફને પણ સચેત કરી દેવામાં આવ્યો છે. બપોરના સમયે સ્કૂલે જતા બાળકોને કોઈ તકલીફ ના પડે તે માટે વિવિધ સ્કૂલ દ્વારા કેટલાક નિર્ણય લેવામાં આવી રહ્યા છે આ સાથે જીલ્લા પ્રાથમિક શાળાના અધિકારી દ્વારા પણ કેટલાક પગલાં ભરવામાં આવ્યા છે.
દિવસે ને દિવસે ગરમીમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લઈને પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શાળાના સમયમાં ફેરફાર કરવા માટે નો પરિપત્ર પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. શનિવારના જાહેર કરવામાં આવેલા આ પત્રમાં સ્કૂલનો સમય બાળકોને તકલીફ ના પડે તે પ્રમાણેનો રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે, જે સ્કૂલોનો સમય 7-30થી 12-45 છે, તેના બદલે 11-30 સુધીનો રાખવા માટે સૂચન કરવામાં આવ્યુ છે.