ઈન્ડીયન મેડિકલ એસોસિએશને (IMA) પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને બાબા રામદેવની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
IMA એ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર
બાબા રામદેવની સામે રાજદ્રોહનો કેસની કરી માંગણી
IMA ના પત્રમાં આરોપ
વેક્સિનેશન પર બાબા રામદેવ ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે
પ્રધાનમંત્રી મોદીને પાઠવેલા પત્રમાં IMA એ જણાવ્યું કે બાબા રામદેવ દ્વારા વેક્સિનેશન પર મોટી માહિતી ફેલાવાઈ રહી છે. તેથી બાબા રામદેવની સામે રાજદ્રોહ કાયહા હેઠળ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
IMA એ તેના પત્રમાં જણાવ્યું કે આપના ધ્યાન પર એ વીડિયોને લાવતા અમને અત્યંત દુખ થઈ રહ્યું છે કે જેમાં એવો દાવો કરાયો હતો કે વેક્સિનના બન્ને ડોઝ લેનાર 10,000 ડોક્ટરોના મોત થયા છે અને એલોપેથિક દવાઓને કારણે લાખો લોકોના મોત થયા છે.
પ્રધાનમંત્રીને કહેવાયું તમારી પ્રતિબદ્ધતા અનુરુપ કામ કરીએ છીએ
પત્રમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે આ આરોપ બાબા રામદેવે કર્યાં છે અને આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. IMA એ જણાવ્યું કે IMA તમારી પ્રતિબદ્ધતાને અનુરુપ 18 થી વધુ વયના લોકોના વેક્સિનેશન પર અભિયાન ચલાવી રહી છે. જેથી કરીને કોરોનાની સામે જીત મળી શકે. જ્યારે તમે વેક્સિનેશન અભિયાનની જાહેરાત કરી ત્યારે આઈએમએના નેતાઓએ સૌથી પહેલા વેક્સિનના ડોઝ લીધા હતા જેથી કરીને લોકોમાં વેક્સિન અંગે પ્રવર્તી રહેલી મોટી માન્યતા તોડી શકાય.
એલોપેથિક દવાઓને કારણે લોકોના મોત થયા તેવો દાવો સરકાર માટે પડકારરુપ-આઈએમએ
પત્રમાં વધુમાં કહેવાયું કે આધુનિક મેડિકલ પ્રોફેશનલ્સ કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા જારી પ્રોટોકોલ અને ગાઈડલાઈનન્સનું પાલન કરે છે. તેથી જો કોઈનો દાવો હોય કે એલોપેથિક દવાઓને કારણે લોકોના મોત થયા છે તો તે હેલ્થ મિનિસ્ટ્રીને પડકાર આપવાનો પ્રયાસ છે. મંત્રાલયે જ અમને સારવાર સંબંધિત પ્રોટોકોલ આપ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને પણ બાબા રામદેવને આ પ્રકારના નિવેદનોથી બચવા માટેની સલાહ આપી છે. બીજી તરફ ઇન્ડીયન મેડિકલ એસોસિયેશને પણ બાબા વિરુદ્ધ પ્રદર્શનો કર્યા છે.
IMAએ પતંજલિના સંસ્થાપર રામદેવ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માગ કરી છે તો કેટલીક જગ્યાએ ડૉક્ટર્સે પતંજલિ વિરુદ્ધ પ્રદર્શન પણ કર્ય છે. સોશ્યલ મિડીયા પર પણ બાબા રામદેવ વિરુદ્ધ પ્રદર્શન થયુ સાથે જ બાબાની ધરપકડની માગ પણ ઉઠી છે.
બાબાએ આપ્યુ નિવેદન
આ પ્રકારના માહોલ વચ્ચે રામદેવનો એક વીડિયો વાયરલ થયો છે અને તેમાં તે કહી રહ્યાં છે કે એરેસ્ટ તો તેમનો બાપ પણ ના કરી શકે. આ વીડિયોમાં રામદેવ તેવું કહી રહ્યાં છે કે, લોકો ક્યારેક રામદેવની ધરપકડ માટે ટ્રેન્ડ ચલાવે છે તો ક્યારેક રામદેવ ઠગ છે તેવું કહે છે પરંતુ અમે આ બધા ટ્રેન્ડથી ઉપર છીએ. આ વીડિયો ક્યારનો છે તેને લઇને કોઇ વાત સામે આવી નથી પરંતુ આ વીડિયોને ટ્વિટ કરીને યુઝર્સ રામદેવ પર નિશાન સાધી રહ્યાં છે. કેટલાક યુઝર્સ કહી રહ્યાં છે કે હવે સ્વામી રામદેવ કાયદાથી પણ ઉપર થઇ ગયો છે.
રામદેવ પર એફઆઈઆર કરાવવાની તૈયારી
ડોક્ટર લેલેએ જણાવ્યું કે અમારી ટીમ રામદેવના સવાલના જવાબો તૈયાર કરી રહી છે. અમે તેમના બધા સવાલોનો જવાબ આપીશું. આઈએમએના ડોક્ટર અમને ફોન કરીને પૂછી રહ્યાં છે કે રામદેવ કેવા પ્રકારની હાસ્યાસ્પદ વાતો કરી રહ્યાં છે. બાબા રામદેવની સામે એફઆઈઆર દાખલ કરાવવામાં આવશે.