ટીએમસીના અસંતુષ્ટ સાંસદ શિશિર અધિકારી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા બાદ સીએમ મમતા બેનરજીએ જણાવ્યું કે હું જ મોટી ગધેડી છું કે આવા ગદ્દારોને ઓળખી ન શકી. આવા ગદ્દારોનો સાચો ચહેરો હવે સામે આવ્યો છે.
શિશિર અધિકારીને ગદ્દાર ગણાવતા બેનરજીએ દાવો કર્યો કે અધિકારી પરિવારે રુ.5,000 કરોડની સંપત્તિ ભેગી કરી હોવાનું મારા સાંભળવામાં આવ્યું છે.
આવા લોકોને ઓળખી ન શકવા બદલ હું મોટી ગધેડી છું. મને ખબર નથી પરંતુ લોકજીભે ચર્ચાઈ રહ્યું છે અધિકારી પરિવારે 5,000 કરોડનું સામ્રાજ્ય ખડું કર્યું છે અને તેઓ હવે આ પૈસાથી વોટ ખરીદશે. પરંતુ મારી લોકોને અપીલ છે કે તેમને વોટ ન આપતા.
મમતાએ ભાજપને દુષ્ટો અને ગૂંડાની પાર્ટી તરીકે ઓળખાવી.
અધિકારી પરિવારના ઘણા સભ્યો ભાજપમાં સામેલ થયા બાદ કટુ વચન ઉચ્ચારી રહેલા સીએમ મમતા બેનરજીએ એવું પણ વચન આપ્યું કે સત્તામાં આવશે તો અધિકારી પરિવારની સંપત્તિની તપાસ કરાવશે. મમતાએ અધિકારી પરિવારની તુલના મીર જાફર સાથે પણ કરી અને કહ્યું કે આ વિસ્તારના લોકો સહન નહીં કરે અને વોટથી તેનો જવાબ આપશે. મમતાએ ભાજપને દુષ્ટો અને ગૂંડાની પાર્ટી તરીકે ઓળખાવી.
અમિત શાહની રેલીમાં શિશિર અધિકારીએ ભારત માતાની જય અને જયશ્રી રામની નારેબાજી કરીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. આપને જણાવી દઈએ કે શિશિર અધિકારીના બન્ને પુત્રો શુભેન્દુ અધિકારી અને સૌમેંદુ અધિકારી પણ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.આ પ્રસંગે બોલતા શિશિર અધિકારીએ જણાવ્યું કે અમે ટીએમસી માટે લોહી પરસેવો એક કર્યો પરંતુ ટીએમસીએ મારી અને મારા પુત્રો સાથે જે રીતનો વ્યવહાર કર્યો તેનાથી અમને પાર્ટી બદલવાની ફરજ પડી છે.