વસુરાજાના એક શબ્દ અસત્ય બોલવાથી કેટલું દુઃખ દાયક ફળ થયું એ તત્ત્વવિચાર કરવા આપણે અહીં જાણીયે. વસુરાજા, નારદ અને પર્વત આ ત્રણે એક જ પાસે વિદ્યા ભણ્યા હતા. પર્વત અધ્યાપકનો પુત્ર હતો, અને તેના પિતાનો સ્વર્ગવાસ થઇ ગયો હતો તે માટે પર્વત પોતાની માતા સાથે વસુરાજાના રાજ્યમાં રહેતા હતા.
એક રાત્રે પર્વત અને નારદ અભ્યાસ કરી રહ્યા હતા. પર્વતની માતા તેની બાજુમાં બેઠી હતી. આ દરમ્યાન પર્વતે `અજૈર્યષ્ટવ્યમ્' એવું એક વાક્ય કહ્યું. ત્યારે નારદે કહ્યું, 'અજનો અર્થ શું થાય, પર્વત?' પર્વતે કહ્યું, 'અજ અર્થાત્ બકરો.' નારદે કહ્યું, 'આપણે ત્રણે જ્યારે તારા પિતાજી પાસે ભણતા હતા ત્યારે તેમને `અજ'નો અર્થ ત્રણ વર્ષનો 'વ્રીહિ' એમ કહ્યું હતું; અને આજે તું આનો ઊંધો અર્થ કેમ કરે છે.?'' આ રીતે પરસ્પર વાદ-વિવાદ વધી ગયો.
ત્યારે પર્વતે કહ્યું, `વસુરાજા આપણને જે કહેશે તે સત્ય' આ વાત નારદે પણ માની લીધી અને જે જીતે એના માટે અમુક શરત કીધી. પર્વતની માતા જે બાજુમાં બેઠી હતી તેણે આ બધું સાંભળ્યું, `અજ' અર્થાત્ `વ્રીહિ' એવું એમને પણ યાદ હતું. શર્તમાં પોતાનો પુત્ર હારી જશે એ ભયથી પર્વતની માતાજી રાત્રે રાજા પાસે ગઇ અને પૂછ્યું ``રાજન્! `અજ'નો અર્થ શું છે?'' વસુરાજાએ કહ્યું `અજનો અર્થ `વ્રીહિ' છે. ત્યારે પર્વતની માતાએ રાજાને કહ્યું, 'મારા પુત્રએ અજનો અર્થ બકરો એમ કહી દીધું છે, તો તમારે એનો પક્ષ લેવો પડશે. તમને પૂછવા નારદ અને પર્વત બન્ને આવશે. વસુરાજાએ કહ્યું, `પણ હું અસત્ય શા માટે બોલું? મારાથી આ ન થઇ શકે!' પર્વતની માતાએ મોહવશ કહ્યું, `પણ જો તમે પર્વતનો પક્ષ નહીં લો તો હું તમને હત્યાનું પાપ આપીશ.' રાજા વિચારમાં પડી ગયા, `સત્યના કારણે હું મણિમય સિંહાસન પર અદ્ધર બેઠો છું. લોકસમુદાયમાં ન્યાય કરું છું, લોકો પણ જાણે છે કે રાજા સત્ય ગુણના કારણે સિંહાસન પર આકાશમાં બેઠા છે. હવે હું શું કરું? પર્વતનો પક્ષ ન લઉ તો બ્રાહ્મણી મરે છે, અને એ તો મારા ગુરુની સ્ત્રી છે. લાચાર થઇ અંતમાં રાજા બ્રાહ્મણીને કહે છે `તમે ખુશીથી જાવ, હું પર્વતનો પક્ષ લઇશ' એવો નિર્ણય કરાવી પર્વતની માતા ઘરે આવે છે. પ્રભાતમાં નારદ, પર્વત અને માતા વિવાદ કરતા કરતા રાજાની પાસે જાય છે, રાજા અણજાન થઇ પૂછે છે `પર્વત, શું થયું?', પર્વતે કહ્યું `રાજાધિરાજ! અજનો અર્થ શું થાય છે? તે તમે કહો.' રાજાએ નારદને પૂછયું 'તમે શું કહો છો?' નારદે કહ્યું `અજનો અર્થ ત્રણ વર્ષનો `વ્રીહિ', તમને શું યાદ નથી?' વસુરાજાએ કહ્યું `અજનો અર્થ છે બકરો, વ્રીહિ નહિ'.
તે જ સમયે દેવતાઓએ સિંહાસનને ઉછાળીને પટકી દીધું, વસુરાજાનું મૃત્યુ થઇ ગયું. આ ઉપરથી આપણને બોધ મળે છે કે 'આપણે સૌને અને રાજાને સત્ય અને ન્યાય બન્ને ગ્રહણ કરવું યોગ્ય છે. ભગવાને જે પાંચ મહાવ્રત પ્રણિત કર્યા છે, એમાં પ્રથમ મહાવ્રતની રક્ષા માટે બાકીના ચાર વ્રત વાડરૂપ છે અને એમાં પણ પહેલી વાડ સત્ય મહાવ્રત છે. આ સત્યના અનેક ભેદોને સિદ્ધાંતથી જાણવા આવશ્યક છે.