રાજ્ય સરકાર દ્વારા ગઈ કાલે 'હર ઘર, નલ સે જલ'ની નવી નીતિ હેઠળ અમદાવાદ મ્યુનિ. હદમાં સરકારી કે ખાનગી પ્લોટોમાં બંધાઈ ગયેલાં ગેરકાયદે રહેણાક મકાનોમાં રહેતા લોકોને રૂ. ૫૦૦માં અડધા ઇંચનું પાણીનું કનેક્શન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ગેરકાયદે પાણીના કનેકશનને મળશે સરકારી માન્યતા
આગામી તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધીમાં આ યોજના અમલમાં રહેશે, જોકે આ નિર્ણયથી ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામને કાયદેસર કરાવનારા લોકોની જેમ હવે ગેરકાયદે રહેણાક મકાનમાં રહેતા લોકોનાં પાણીનાં કનેક્શનને સરકારી માન્યતા મળશે. એક અંદાજ પ્રમાણે શહેરમાં બે લાખથી વધુ ગેરકાયદે પાણીનાં કનેક્શન હોઈ ચૂંટણીનાં વર્ષમાં આ લોકોને જલસા થઈ જશે. આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે કનેક્શન મ્યુનિ. ઈજનેર વિભાગનાં કૌભાંડને પણ પ્રકાશમાં લાવે છે.
કોટ વિસ્તારમાં પાણની કાયમી સમસ્યા
સ્માર્ટ સિટી અમદાવાદમાં લોકોને સવારે બે કલાક પૂરતાં પ્રેશરથી પાણી મળતું નથી. કોટ વિસ્તાર સહિતના અનેક વિસ્તારમાં સમસ્યા કાયમી છે. અનેક વખત તો ગટરનું પાણી પણ મિક્સ થઈ જાય છે. શહેરની ૩૦ ટકા વસ્તી હજુ પણ ઝૂંપડાં અને ચાલીમાં રહે છે. પાણીની પાઇપલાઇનના નેટવર્કના અભાવે ૨૦ ટકા વસ્તી પાણીથી વંચિત હોઈ તંત્ર દ્વારા ટેન્કરથી પાણી પૂરું પાડવા દર વર્ષે લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. આવા વિષમ સંજોગોમાં પાણીનાં ગેરકાયદે કનેક્શન લેનારા લોકોનો શહેરમાં તોટો નથી.
શહેરના પૂર્વ વિસ્તારમાં અપાયાં પાણીના ગેરકાયદે કનેકશન
નરોડાથી નારોલનો પટ્ટો કહો કે બહેરામપુરા, દાણીલીમડા, વટવા, રામોલ, હાથીજણ તેમજ તમામ ઝૂંપડાં-ચાલી વિસ્તારમાં ઈજનેર વિભાગના સ્ટાફ દ્વારા કટકી લઈને અત્યાર સુધીમાં પાણીનાં ગેરકાયદે કનેક્શન અપાયાં છે. જે રીતે ગેરકાયદે બાંધકામમાં મ્યુનિ. એસ્ટેટ વિભાગનાં કૌભાંડને ઇમ્પેક્ટ ફીથી કાયદેસરતા મળી તે રીતે ગેરકાયદે રહેણાકમાં પાણીનું કનેક્શન અપાવવામાં ગુનેગાર મ્યુનિ. ઈજનેર વિભાગનાં કૌભાંડનો પૂરેપૂરો ઢાંકપિછોડો થઈ જશે. આનાથી ચંડોળા તળાવ વિસ્તાર અને મિલ્લતનગર જેવા વિસ્તારમાં રહેતા હજારો બાંગ્લાદેશી ઘૂસણખોરોને ફક્ત રૂ. ૫૦૦માં સરકારી માન્યતા ધરાવતાં પાણીનાં કનેક્શન મળી જશે.
આ તો ઠીક પણ જે લોકો બીયુ પરમિશન, લાઇટ બિલ, ટેક્સ બિલ જેવા પુરાવાના અભાવે પાણીનું કનેક્શન મેળવી શક્યા નથી તેવા લોકો પણ આગામી તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી રૂ. ૫૦૦માં પાણીનું અડધા ઈંચનું કનેક્શન મેળવી શકશે. એક અંદાજ પ્રમાણે તંત્ર સમક્ષ નવાં ગેરકાયદે પાણીનાં કનેક્શનને લગતી એક લાખથી વધુ અરજીનો ઢગલો થશે.
શહેરમાં 10 લાખથી વધુ સત્તાવાર કનેકશન હોવાનો અંદાજ
અમદાવાદમાં વર્ષ ૨૦૧૦ની સ્થિતિએ પાણીના સત્તાવાર ૫,૯૮,૬૪૮ કનેક્શન હતાં. હવે તંત્ર સત્તાવાર કનેક્શનનો આંકડો જાહેર કરતું નથી, પરંતુ એક અંદાજ મુજબ શહેરમાં દસ લાખથી વધુ સત્તાવાર કનેક્શન છે. અત્યારે શહેરમાં ૧૯૩ વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન કાર્યરત હોઈ શહેરીજનોને દરરોજ ૧૪૦થી ૧૫૦ લિટર પાણી પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ અપાઈ રહ્યું છે. તંત્રની પ્રતિ દિન ૧૯૦૦ એમએલડી પાણીનો જથ્થો પૂરો પાડવાની ક્ષમતા સામે અત્યારે દરરોજ ૧૩૭૦ એમએલડી પાણીનો જથ્થો વપરાશ હેઠળ છે, પરંતુ પાણીનાં ગેરકાયદે કનેક્શનને લગતી નવી અરજીના ઢગલે ઢગલા થવાથી પાણીના દરરોજના વપરાશમાં ૩૦૦થી ૪૦૦ એમએલડી જેટલો વધારો થશે.
કાગળ પરનો વાઘ
ખાસ તો પાણીનાં ગેરકાયદે કનેક્શનને કાયદેસર કરવાની તંત્રની નવી નીતિથી ઠેર ઠેર પાણીનાં ઓછાં પ્રેશરની ફરિયાદ ઊઠશે. અગાણી પાણીનાં ગેરકાયદે કનેક્શનને શોધીને તેને કાપવાની જે પ્રકારે દેખાવ પૂરતી કવાયત્ પણ ઈજનેર વિભાગ હાથ ધરતું હતું તે સંપૂર્ણપણે બંધ રહેશે. તંત્રનું મોટરિંગ સ્ક્વોડ તો ક્યાંય નજરે પડતું નથી, પરંતુ હવે તો તે કાગળ પરનો વાઘ બનશે.
કેટલો થશે ખર્ચ
અનેક જગ્યાએ સાવ હલકી ગુણવત્તાનાં પ્લાસ્ટિકનાં પાઇપનાં થીગડાં મારીને પાણીનાં ગેરકાયદે કનેક્શન લેવાયાં છે. આવાં કનેક્શનને માન્યતા મળશે તેમજ નવાં ગેરકાયદે કનેક્શન કરાશે, જેના કારણે દૂષિત પાણીની સમસ્યા વકરશે. નવાં ગેરકાયદે કનેક્શન માટે તંત્રે રસ્તા ખોદવા પડશે એટલે તેની કામગીરી તો નવરાત્રિ પછી હાથ ધરાશે. જોકે નવાં કનેક્શન માટે નાગરિકને રૂ. ૧૦૦૦ની આસપાસનો વધારાનો ખર્ચ કરવો પડશે. જ્યારે તંત્રને પણ રૂ. ત્રણેક કરોડનો ખર્ચ થશે તેની સામે મ્યુનિ. સત્તાવાળાઓને રૂ. ૫૦૦ ફીની અંદાજિત આશરે રૂ. ૧૫ કરોડની આવક થશે.