આવતા વર્ષથી પ્રતિષ્ઠિત કોલેજો IIT અને NIT તેમના એન્જીન્યરીંગ કોર્સીસ વિદ્યાર્થીની માતૃભાષામાં ભણાવવાની શરૂઆત કરશે.
આ જાહેરાત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કરી છે. નોંધનીય છે કે ટેક્નિકલ શિક્ષણને માતૃભાષામાં ભણાવવું એ નેશનલ એજ્યુકેશન પોલિસીનો એક ભાગ છે. આ ઉપરાંત શિક્ષણ મંત્રી રમેશ પોખરિયલ નિશંકે UGCને નિર્દેશ આપ્યા હતા કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને ફેલોશિપ સમયસર આપી દેવામાં આવે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓની ફરિયાદોનો પણ તાત્કાલિક નિકાલ લાવવામાં આવે તે માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે મંત્રાલય નેશનલ એજ્યુકેશન પોલિસીને વ્યવસ્થિત રીતે લાગુ કરવા માટેની વ્યવસ્થા કરી રહ્યું છે. આ ઉપરાંત નેશનલ ટેસ્ટિંગ એજન્સી દેશની સ્પર્ધાત્મક પરીક્ષાઓના સિલેબસ ઉપર નજર નાખશે અને હાલના શિક્ષણ બોર્ડ્સની પરિસ્થિતિનું અવલોકન કરશે.
આ ઉપરાંત કોરોનાને કારણે દેશમાં શિક્ષણવર્ષ અસ્તવ્યસ્ત થઇ ગયું હોવાથી એક કેમ્પેઈન લોન્ચ કરવાની યોજના છે જેમાં શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે મળીને આવતા વર્ષે ક્યારે અને કેવી રીતે પરીક્ષાઓનું આયોજન કરવું છે તેની ચર્ચા કરવામાં આવશે.