પૂર્વોત્તર રાજ્યો, દિલ્હીથી લઇ દેશના અનેક રાજ્યોમાં ભડકેલી હિંસા હવે અમદાવાદ સુધી પહોંચી છે. વિશ્વની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા નાગરિકતા બિલના વિરોધમાં સહી ઝૂંબેશ શરૂ કરાઇ છે. જેમાં તેમને હજારો વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ ઉપરાંત સોમવારે બપોર બાદ IIM કેમ્પસ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા. તેમાં 60થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે.
IIM અમદાવાદની બહાર વિરોધ પ્રદર્શન
IIM અમદાવાદના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા નાગરિકતા કાયદાના વિરોધમાં સહી ઝૂંબેશ
કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરાઇ
IIM અમદાવાદ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓના ગ્રૃપોમાં નાગરિકાત સંશોધન કાયદાના વિરૂદ્ધમાં પત્રો ફરતા થયા છે. જેમાં લોકોને ફોર્મ ભરી અને સહી કરી વિરોધમાં જોડાવા માટે અપીલ કરાઇ છે.
પત્રના અંશો
અમે ભારતના નાગરિક અને શૈક્ષણિક જગતના લોકો તરીકે નાગરિકતા સંશોધન કાયદા 2019નો વિરોધ નોંધાવીએ છીએ. આ કાયદો ભારતમાં અશાંતિ અને હિંસા ફેલાવી રહ્યો છે. જે ભારતીય બંધારણની વિરૂદ્ધ છે. આ કાયદાથી બંધારણે આપેલી બિનસાંપ્રદાયિક સમાનતા અને તેના મૂલ્યો જળવાતા નથી. આ કાયદો માત્ર નિશ્ચિત ધર્મના લોકોને ફાયદો કરે છે. આ ઉપરાંત આ કાયદો બિનબંધારણીય અને આંતરરાષ્ટ્રીય સિવિલ અને પોલિટીકલ રાઇટ્સનું ખંડન કરતો છે.
અનેક શહેરોમાં પ્રદર્શન
દિલ્હી સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી છે. હવે ઉત્તરપ્રદેશના મઉ જિલ્લામાં પણ વિરોધ પ્રદર્શન ઉગ્ર થઇ ચૂક્યું છે. મઉમાં ઉગ્ર ભીડે રોડ પર ઉભી રહેલી કેટલીક ગાડીઓના કાચ ફોડી નાખ્યા છે. ઉઘ્ર ભીડ નરેન્દ્ર મોદી અને યોગી સરકાર વિરૂદ્ધ નારા પણ લગાવ્યા. આ વિરોધ પ્રદર્શનની અસર દક્ષિણ ટોલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ મિર્ઝાહાદીપુરા ચોક પર સૌથી વધુ જોવા મળ્યું. પોલીસે પ્રદર્શનકારીઓ પર આસૂં ગેસના ગોળા છોડ્યા, સાથે જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરનારાને હટાવ્યા.
ત્યારે, જામિયા યૂનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વિરૂદ્ધ પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભોપાલના વિદ્યાર્થીઓ પણ ઉતરી ગયા. ભોપાલના ઇકબાલ મેદાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસ કાર્યવાહીને ખોટી ગણાવતા વિદ્યાર્થીઓએ નારેબાજી કરી. આ સાથે જ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ નાગરિકતા સંશોધન કાયદાનો પણ વિરોધ કર્યો.