કલોલ ખાતે નેનો બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે માલીકીની ટેક્નોલોજીના વિકાસ દ્વારા ઇફ્કોના વિજ્ઞાનીઓ અને એન્જિનિયર્સના વર્ષોના સંશોધન બાદ સ્વદેશી નેનો યુરિયા લિક્વિડ વિકસાવ્યુ છે, જે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘આત્મનિર્ભર કૃષિ’ સાથે સુસંગત છે. ઇફ્કો નેનો યુરિયા લિક્વિડ છોડના પોષણ માટે અસરકારક અને કાર્યક્ષમ હોવાનો વાત IFFCO દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ સારા પોષણ ગુણવત્તા સાથે ઉત્પાદનમાં વધારો કરે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તે ભુગર્ભ જળની ગુણવત્તા ઉપર ખૂબજ સકારાત્મક અસર સાથે આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ ઉપર અસર કરતાં ગ્લોબલ વોર્મિંગમાં નોંધપાત્ર ઘટાડો કરશે તેવો દાવો ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવ્યો છે.
યુરિયાની બોટલ 240 રૂપિયામાં જ મળશે
નેનો યુરિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પાકને મજબૂત અને આરોગ્યપ્રદ બનાવે છે. ઉભા પાકને ખેતરોમાં પડતા અટકાવે છે. નાના કદના નેનો યુરિયા પ્રવાહીને લીધે, તેને ખિસ્સામાં પણ રાખી શકાય છે. તેના પરિવહન અને સંગ્રહ ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે તેવી વાત કરવામાં આવી રહી છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર)ની 20 સંસ્થાઓ, રાજ્ય કૃષિ વિશ્વવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં 43 પાકો પર કરેલા દેશના વિવિધ ભાગો અને બહુ ફસલી પરીક્ષણોના આધારે ઇફ્કો નેનો યુરિયાને ખાતર નિયંત્રણ હુકમ (FCO, 1985)માં સામેલ કરી લેવામાં આવ્યો છે. તેની અસરને ચકાસવા માટે દેશના જુદા જુદા ભાગોમાં કુલ 94 થી વધુ પાક પર લગભગ 11,000 કૃષિ ક્ષેત્ર પરીક્ષણ (એફએફટી) પણ હાથ ધરવામાં આવ્યા છે. દેશભરમાં 94 પાક પર કરવામાં આવેલા તાજેતરના પરીક્ષણોમાં પાકની ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. ઇફકોએ ખેડૂતો માટે 500 મિલી નેનો યુરિયાની બોટલ માટે 240 રૂપિયા નક્કી કર્યા છે.
યુરિયાનો વધુ પડતો ઉપયોગ ઘટશે
ખેડૂતો દ્વારા નેનો યુરિયા લિક્વિડના ઉપયોગથી સંતુલિત પોષણ કાર્યક્રમને વેગ મળશે તથા જમીનમાં યુરિયાનો વધુ પડતો ઉપયોગ ઘટશે. યુરિયાના વધુ પડતાં ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ, જમીનના આરોગ્યને નુકશાન થાય છે તથા છોડ રોગ અને જીવાતોના ઉપદ્વવ માટે વધુ સંવેદનશીલ બને છે તેમજ પાકના વિકાસમાં વિલંબ અને ઉત્પાદનમાં નુકશાન થાય છે. નેનો યુરિયા લિક્વિડ પાકને મજબૂત, સ્વસ્થ બનાવે છે તથા બીજી અસરોથી તેને સુરક્ષિત રાખે છે. ખેતીમાં યુરિયાના અંધાધૂંધ પ્રયોગને રોકવાની ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવા માટે નેનો યુરિયા કારગર સાબિત થઇ રહ્યું છે. સહકાર ક્ષેત્રની સંસ્થા IFFCOએ આધુનિક ઈલાજ સંભવ કરી દીધો છે. 45 કિ.ગ્રા. ની એક બોરીમાં યુરિયાની જગ્યાએ માત્ર અડધો લીટર નેનો યુરિયા યોગ્ય છે.
‘આત્મનિર્ભર’ બનવા તરફનું મહત્વપૂર્ણ પગલું : દિલીપ સંઘાણી
નેનો યુરિયા - આ ક્રાંતિકારી પગલું પર્યાવરણને અનુકૂળ, પાકોને પોષિત કરીને વધુ ઉત્પાદન આપનારું તથા પરંપરાગત ખાતર કરતા 50 ટકા વધુ પરિણામ આપશે. પરીક્ષણ બતાવે છે કે નેનો યુરિયા ખેડૂતોના પાકની ઉપજમાં વધારો કરશે અને નાઇટ્રોજનને 50%સુધી બચાવી શકે છે. નેનો-ફર્ટિલાઇઝર કદ-આધારિત ગુણો, ઉચ્ચ સપાટી-વોલ્યુમ ગુણોત્તર અને અનન્ય ગુણધર્મોને કારણે છોડના પોષણમાં ઉપયોગ માટે બહુ મહત્વ ધરાવે છે. નેનો ટેકનોલોજી પ્રમાણે રાસાયણિક રચના સાથે ખાતરના ઉત્પાદનને અનુરૂપ બનાવવા, પૌષ્ટિક ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરે છે જે પર્યાવરણીય પ્રભાવને ઘટાડે છે અને છોડની ઉત્પાદકતાને વેગ આપે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મોટી સિદ્ધિને વર્ણવતા દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે આ પગલું 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવા માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની દિર્ધદૃષ્ટિને ચોક્કસપણે સાર્થક કરશે. ઇફ્કોએ ગુજરાતના કલોલ એકમ ખાતે એક વર્લ્ડ ક્લાસ પ્રયોગશાળાની સ્થાપના કરી છે.
શું છે નેનો ટેકનોલોજી
છેલ્લા ઘણા સમયથી નેનો ટેકનોલોજી શબ્દ વારંવાર સાંભળવામાં આવી રહ્યો છે. નેનો એ ગ્રીક શબ્દ ‘નેનોશ’ માંથી ઉદ્દભવેલ શબ્દ છે. જેનો અર્થ - નાનું, સૂક્ષ્મ અથવા ન્યૂનતમ એવો થાય છે. એક નેનોમીટર એટલે એક મીટરનો અબજમો ભાગ. જેને માથાના વાળની જાડાઈનો લગભગ એંસી હજારમો ભાગ સમાન ગણી શકાય.આધુનિક વિજ્ઞાનનો વિકાસ જોતાં વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ભવિષ્યમાં કોઈપણ ક્ષેત્ર નેનો ટેકનોલોજીના યોગદાન વગર બાકી રહેશે નહિ. ત્યારે ખેતીમાં તેના ઉપયોગથી અત્યંત આશાસ્પદ પરિવર્તન મળવાની અપેક્ષાઓ નિષ્ણાંતો દ્વારા સેવવામાં આવી રહી છે. ભારત કૃષિપ્રધાન દેશ છે. ભારતીય કૃષિ ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતા કે તેથી પણ વધુ પ્રાચીન વારસો ધરાવે છે. ભારતના પૌરાણિક સાહિત્યમાં પણ કૃષિક્ષેત્રનો સારો એવો ઉલ્લેખ થયેલ છે. જેમકે ઋગ્વેદમાં ખેતર ખેડવું, સીંચાઇ, ફળ અને શાકભાજીની ખેતી વગેરેનો ઉલ્લેખ મળે છે. જુનવાણી પધ્ધતિના ઉપયોગ સાથે ટેકનોલોજીના ઉપયોગથી ખેતી ક્ષેત્રે હજુ પણ વધુ હરણફાળ ભરી શકાશે તેમાં નવાઈ નથી.