અત્યારના સમયમાં વરસાદ અને ગરમી બે સિઝન ભેગી થઇ છે. જેના કારણે બાળકોને શરદી અને ખાંસીની સમસ્યા રહે છે. આ વાતને લઇને તેમના પેરેન્ટ્સ પણ ટેન્શનમાં આવી જતા હોય છે.
બાળકો બદલાતી સિઝનમાં થાય છે બિમાર
કોરોનાકાળમાં લેવી જોઇએ ખાસ કાળજી
બાળકોને ઘરેલૂ નુસ્ખાથી રાખો બિમારીથી દૂર
બાળકોને ખાંસી અને શરદી થાય છે ત્યારે ઘણીવાર તે સહન પણ કરી શકતા નથી અને ડૉક્ટર પાસે લઇ જવાનો વારો આવે છે. બાળકોને આ તકલીફથી દૂર રાખવાના ઘરેલૂ ઉપચાર છે. તે અપનાવવાથી ખાંસી અને શરદી દૂર થઇ જાય છે.
અજમાનું પાણી
શરદી ખાંસીમાં રાહત આપવા માટે નાના બાળકોને 2-4 ચમચી અજમાનું પાણી પીવડાવી દો. એક મોટો ચમચો અજમો લઇને એક ગ્લાસ જેટલુ પાણી લઇ તેને ગરમ કરી લો અને જ્યારે આ પાણી અડધુ થઇ જાય પછી તેને ગાળી લો. દિવસમાં થોડા થોડા સમયે તેને આ પાણી પીવડાવવું જોઇએ.
હળદરવાળુ દૂધ
શરદી ખાંસીમાંથી છૂટકારો મેળવવા માટે બાળકને આપવામાં આવતા દૂધમાં હળદર મિક્સ કરી લો અને તેને હળવુ ગરમ કરીને આપો. કાચી હળદરનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે.
ઉકાળો પીવડાવો
બાળકને દિવસમાં ઓછામાં ઓછુ બે વાર ઉકાળો પીવડાવો. જો બાળક નાનુ છે તો તેને 1-2 ચમચી ઉકાળો પીવડાવવો જોઇએ. તમે બજારમાંથી સારી કંપનીનો ઉકાળો ખરીદી શકો છો અને જો તે શક્ય ન હોય તો ઘરમાં જ તુલસી, તજ, લવિંગ, મરી અને આદુ નાંખીને ઉકાળો બનાવી શકાય છે.
સ્ટીમ
બાળકને ઘણી વાર કફ ભરાઇ જવાના કારણે વ્યવસ્થિત શ્વાસ લેવાતો નથી. તેના માટે નોઝલ સ્પ્રેનો ઉપયોગ ન કરવો જોઇએ. તમે તમારા બાળકને સ્ટીમ લેવડાવી શકો છો. તેનાથી ગરમ વરાળ બાળકની છાતીમાં જશે અને તેને ફાયદો થશે.