નવા શ્રમ નિયમ અંતર્ગત નક્કી કરેલા કલાકોથી 15 મિનિટ વધારે કામ કરવાનાં સમયને ઓવરટાઇમ ગણવામાં આવશે અને તેના માટે કંપનીઓએ પોતાના કર્મચારીઓને તેનું વળતર ચૂકવવુ પડશે.
15 મિનિટથી વધારે કામ કરવા પર ઓવરટાઈમ
પહેલા અવધી અડધો કલાકની હતી
મહિનાનાં અંત સુધીમાં નિર્ણય લેવાશે
શ્રમ બજારમાં નવો યુગ શરુ થશે
શ્રમ મંત્રાલય આગામી નાણાકિય વર્ષમાં નવા લેબર લો લાગુ કરવાની તૈયારીમાં છે. સરકાર તેને આખરી ઓપ આપવાનું કામ કરી રહી છે. નવા નિયમ લાગુ થયા બાદ દેશમાં શ્રમ બજારનાં નિયમોમાં સુધારનો નવો યુગ શરુ થશે. તેની સાથે સરકાર નવા શ્રમ નિયમોને લઈને થઈ રહેલ શંકાઓને દૂર કરવાનાં પ્રયત્નો પણ કરી રહી છે.
15 મિનિટ વધારાનાં કામ પર કંપનીએ પેમેન્ટ આપવુ પડશે
સરકારનાં આ નવા લેબર લો મુજબ ઓવરટાઇમની હાલની લિમિટમાં ફેરફાર કરવામાં આવશે અને નક્કી કરેલા કલાકોમાંથી 15 મિનિટ પણ વધારે કામ કરવા પર ઓવરટાઇમ આપવામાં આવશે. જેનું કંપનીઓએ પોતાના કર્મચારીઓ વળતર ચૂકવવુ પડશે. એટલે કે કામનાં કલાકો પૂરા થયા બાદ પણ જો 15 મિનિટ પણ વધારે કામ કરાવવામાં આવશે તો કંપની તેના માટે પેમેન્ટ કરશે. જુના નિયમ મુજબ આ લિમિટ અડધો કલાકની હતી.
નિયમો લાગુ કરવાની પ્રક્રિયા શરુ કરાશે
આ બાબતે મિનિસ્ટ્રી ઓફ લેબરે નવા શ્રમ નિયમોને લઈ દરેક હિતધારકો સાથે વિચાર-વિમર્શ કરી લીધો છે અને આ મહિનાનાં અંત સુધીમાં પ્રક્રિયાઓ પૂરી કરી લેવામાં આવશે. ત્યારબાદ નિયમોને લાગુ કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.
નવા નિયમોથી કોઈ કંપની નહીં બચી શકે
આ નિયમોમાં કંપનીઓને સુનિશ્ચિત કરવાનું છે કે દરેક કર્મચારીઓને પીએફ અને ઈપીએફ જેવી સુવીધાઓ મળે. નવા નિયમો મુજબ કોઈ કંપની એ કહીને બચી નહીં શકે કે કર્મચારી કોન્ટ્રાક્ટર કે થર્ડ પાર્ટી થકી આવ્યો છે. તે ઉપરાંત કોન્ટ્રાક્ટ કે થર્ડ પાર્ટી મુજબ કામ કરનારને પૂરો પગાર મળે તે પ્રમુખ કંપની સુનિશ્ચિત કરશે.