જો તમે જોબની શોધ કરી રહ્યા હો તો વિવાદિત મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી બચો. જો તમે એવા વિષયો પર તમારો મત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવી સોશિયલ સાઇટમાં આપી રહ્યા હો તો બની શકે કે તમને કોઇ કામ મળતા મળતા રહી જાય.
વિવાદિત મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી બચો
વિવાદિત મુદ્દા પર ટીકા ટિપ્પણી કરનાર ૬૦ ટકા લોકોને નોકરીએ ન રાખ્યા.
સોશિયલ મીડિયા સાઇટ પર કોઇ પણ પ્રકારની પોસ્ટ ન કરવી જોઇએ
એક નવા અભ્યાસમાં સંશોધકોએ દાવો કર્યો છે કે કોઇ પણ કંપની એવા લોકોને જોબ પર રાખવામાં પીછેહઠ કરે છે, જે વિવાદિત મુદ્દાઓ પર સોશિયલ મીડિયામાં પોતાનો મત આપે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સિલેક્શન એન્ડ એસેસમેન્ટમાં પ્રકાશિત આ અભ્યાસમાં જાણવા મળ્યું કે એવા લોકોની નિયુક્તિ થવાની શક્યતાઓ પણ ઓછી રહે છે, જે ડ્રગ્સ કે દારૂના ઉપયોગની સામગ્રી પોસ્ટ કરે છે.
અમેરિકાની પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના માઇકલ ટસે 'કરિયર બિલ્ડર'માં જણાવ્યું કે વર્ષ ૨૦૧૮માં ૭૦ ટકા કંપનીઓએ પોતાના સંભવિત કર્મચારીઓની સોશિયલ મીડિયા પોસ્ટનું મૂલ્યાંકન કર્યું અને નકારાત્કમ તેમજ વિવાદિત મુદ્દા પર ટીકા ટિપ્પણી કરનાર ૬૦ ટકા લોકોને નોકરીએ ન રાખ્યા.
તેમણે કહ્યું કે જોબ શોધી રહ્યા હોય તેવા લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલાં તટસ્થ રહેવું જોઇએ કેમ કે કંપની માટે એ જાણવું મહત્ત્વનું હોય છે કે તેઓ જેની પસંદગી કરી રહ્યા છે તેમાં નકારાત્મકતા તો ભરાયેલી નથી અને તેઓ કેટલું સકારાત્મક વિચારે છે અને પોતાના કામને કેવી રીતે અંજામ સુધી પહોંચાડી શકે છે. લોકોનાં ચાલચલનમાં તેમની માનસિક સ્થિતિ અને કાર્યક્ષમતા દેખાતી હોય છે.
અભ્યાસ દરમિયાન સંશોધકોએ એમ પણ જાણ્યું કે સોશિયલ મીડિયા પર લોકો કોઇ પણ મુદ્દે ખૂલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. આ સંજોગોમાં ક્યારેક એવી પોસ્ટ પણ શેર છે જે વિવાદ ઊભો કરે છે અને ધર્મ સંપ્રદાયો વચ્ચે લડાઇનું કારણ પણ બને છે. તેથી જોબની શોધ કરી રહેલી વ્યક્તિઓએ સોશિયલ મીડિયા સાઇટ પર કોઇ પણ પ્રકારની પોસ્ટ ન કરવી જોઇએ, જેનો સમાજમાં નકારાત્મક પ્રભાવ પડે.