ઘણી વાર આપણાથી ભૂલમાં બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતી વખતે પૈસા કોઇ અન્ય જગ્યાએ ચાલ્યા જાય છે ત્યારે શું તમે જાણો છો કે તે રકમને પરત કઇ રીતે લાવી શકાય.
ખોટા બેંક એકાઉન્ટમાં અનેક વખત પૈસા ટ્રાન્સફર થઇ જાય છે
જાણો કઇ રીતે આ રકમને ફટાફટ પરત મેળવી શકશો
બેંકોને RBIએ પણ આપ્યાં છે આ નિર્દેશ
મોબાઈલ બેંકિંગમાં ઘણી વખત બેંક ખાતામાંથી પૈસા કોઇ ખોટા એકાઉન્ટમાં અથવા તો એક ખાતામાંથી બીજા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જાય છે. ત્યારે વાસ્તવમાં, UPI, નેટ બેંકિંગ, મોબાઈલ વોલેટે બેંકિંગ વ્યવહારો સંબંધિત મુશ્કેલીઓ ઘણી હદ સુધી ઓછી કરી દીધી છે. કારણ કે, હવે માત્ર એક મોબાઈલથી પૈસા ટ્રાન્સફરનું કામ માત્ર ચપટીભરમાં થઈ જાય છે. પરંતુ ઘણી વખત તેમાં ખોટા નંબર પર પણ પૈસા ટ્રાન્સફર થઇ જતા હોય છે.
જાણો કઇ રીતે ફટાફટ તે રકમ પરત આવી જશે
બેંકિંગ સુવિધાઓને સરળ બનાવવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ આ પ્રયાસોમાં કેટલીક મુશ્કેલીઓ પણ આવતી હોય છે. જેમ કે ઘણી વાર ભૂલથી તમારા પૈસા કોઇ બીજા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા હોય છે. આથી, જો તમે ભૂલથી પણ કોઈ બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હશે ત્યારે તમે શું કરશો? આખરે કેવી રીતે તે પૈસા પરત મેળવી શકાશે? જો તમારી સાથે પણ આવું થયું છે તો જાણી લો કે તમે પણ આ રકમ કેવી રીતે પરત મેળવી શકો છો. જોઇશું તેની સંપૂર્ણ પ્રક્રિયા.
તુરંત બેંકને જાણ કરો
જેવો તમને ખ્યાલ આવે કે ભૂલથી તમારા પૈસા કોઇ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઇ ગયા છે તો તુરંત તેની જાણકારી તમારી બેંકને કરો. કસ્ટમર કેરને ફોન કરો અને સંપૂર્ણ વિગત સાથે તે બાબત જણાવો. જો બેંક તમારી પાસેથી ઈ-મેલ પર તમામ માહિતી માંગે છે, તો તેમાં આ ભૂલથી થયેલા ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ માહિતી આપો. જેમાં ટ્રાન્ઝેક્શનની તારીખ, સમય અને તમારો એકાઉન્ટ નંબર અને જે એકાઉન્ટમાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થયા હતા તેનો પણ વિગતવાર ઉલ્લેખ કરો.
પોતાના બેંક એકાઉન્ટમાંથી થયેલ ટ્રાન્સફર
તમે જે બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા છે તેનો એકાઉન્ટ નંબર ખોટો છે અથવા તો IFSC કોડ ખોટો છે, તો પૈસા આપમેળે તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. પરંતુ જો આવું ન થયું હોય તો તુરંત તમારી બેંક શાખામાં જાઓ અને બ્રાન્ચ મેનેજરને મળો. તેઓને આ ખોટા ટ્રાન્ઝેક્શન અંગે જાણ કરો. બાદમાં એ જાણવાની કોશિશ કરો કે પૈસા આખરે કયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે? જો કોઇ ખોટું ટ્રાન્ઝેક્શન તમારી જ કોઇ બેંકની બ્રાન્ચમાં થયું છે તો તે સરળતાથી તમારા એકાઉન્ટમાં આવી જશે.
અન્ય બેંક એકાઉન્ટમાં થયેલ ટ્રાન્સફર
જો કોઇ બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ભૂલથી ટ્રાન્સફર થઇ ગયા છે તો તે રકમ પરત આવવામાં થોડોક સમય લાગી શકે છે. કેટલીક વખત તો આ પ્રકારના મામલાને ઉકેલવામાં 2 મહિના જેટલો પણ સમય લાગતો હોય છે. તમે તમારી બેંક દ્વારા એ પણ જાણી શકો છો કે કયા શહેરની કઇ બ્રાન્ચના કયા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે. તે બ્રાન્ચમાં જાણ કરી તમે પણ તમારા પૈસાને પરત લાવવાનો પ્રયાસ કરી શકો છો. તમારી સૂચનાના આધારે બેંક એ વ્યક્તિની બેંકને સૂચના આપશે કે જેના એકાઉન્ટમાં ખોટી રીતે પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે. બેંક તે વ્યક્તિને ખોટી રીતે ટ્રાન્સફર થયેલા પૈસા પરત કરવાની પરવાનગી આપશે.
તાત્કાલિક કેસ દાખલ કરો
તમારા પૈસા પાછા મેળવવાની બીજી રીત કાયદેસર છે. જે વ્યક્તિના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે અને તે પૈસા પરત કરવાનો ઇનકાર કરે છે તો તેની સામે કોર્ટમાં કેસ પણ દાખલ થઈ શકે છે. જો કે, પૈસા પરત ન કરવાના કિસ્સામાં આ અધિકાર રિઝર્વ બેંકના નિયમોના ઉલ્લંઘનના સંદર્ભમાં આવે છે. ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ, લાભાર્થીના ખાતા વિશેની સાચી માહિતી આપવાની જવાબદારી લિંક કરનારની હોય છે. જો, કોઈ પણ કારણોસર લિંક કરનારથી ભૂલ હશે તો તેની માટે બેંક જવાબદાર રહેશે નહીં.
બેંકો માટે આ છે RBIના આદેશ
આજકાલ જ્યારે પણ તમે બેંક એકાઉન્ટમાંથી કોઇ અન્યના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો છો ત્યારે તમને એક મેસેજ આવતો હોય છે. તેમાં પણ એવું લખ્યું હોય છે કે, જો ટ્રાન્ઝેક્શન ખોટું છે તો કૃપા કરીને આ મેસેજને આ નંબર પર મોકલો. આરબીઆઈએ બેંકોને પણ સૂચના આપી છે કે, જો ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા જમા થઈ જાય તો તમારી બેંકે જલ્દીથી તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવી પડશે. તમારા પૈસા ખોટા એકાઉન્ટમાંથી સાચા એકાઉન્ટમાં પરત કરવા માટે બેંક જવાબદાર છે.