દ્વારકા જીલ્લાના એક ગામમાં એક તાંત્રિકે,વિધિના નામે,મહિલાને સાંકળથી માર માર્યા બાદ ભારે પ્રમાણમાં શરીરે ડામ દેતા એક પરિણીતાનું મોત થતા ભારે અરેરાટી પ્રસરી છે.
અંધશ્રદ્ધાના ઓઠાં હેઠળ વિધિમાં જીવ ગયો
પરિણીતાને વળગાડ કાઢવા ભૂવા પાસે ધકેલી
દ્વારકા જીલ્લાની મહિલાનું વિધિ દરમિયાન મોત
ભારત દેશ એકવીસમી સદીમાં અને ગુજરાતનો જેટ ગતિએ વિકાસ છતાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂવા-ભારાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઇ શક્યો.નાની-નાની બાબતોમાં મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના શરણે જઈ પોતાના પરિવારની બરબાદીને નોતરતા સમાજના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતા હોય છે.સમાજમાં એવા કેટલાય કિસ્સો સામે આવે છે કે, તાંત્રિક વિધિના બહાને કા તો મહિલાની લાજ લૂંટાઈ હોય, કા તો મરણમૂડી ખોવી પડી હોય. ત્યારે દ્વારકા જીલ્લાના એક ગામમાં એક તાંત્રિકે,વિધિના નામે,મહિલાને સાંકળથી માર માર્યા બાદ ભારે પ્રમાણમાં શરીરે ડામ દેતા એક પરિણીતાનું મોત થતા ભારે અરેરાટી પ્રસરી છે.
પરિણીતાને ભૂવા પાસે ધસડી ગયો પરિવાર
દ્વારકા જીલ્લાના વચલી ઓખામઢી પાસે આવેલા એક મંદિરમાં બુધવારે એક કરુણ ઘટના ઘટી છે.આરંભડા ગામની મનાતી 25 વર્ષીય મહિલાના શરીરમાંથી મેલું અને વળગાડ હોવાનું કહી પરીણિતા પર વિધિ શરુ કરી હતી.દરમિયાન વિધિના નામે મહિલાને,ભૂવાએ સાંકળોથી મારી એટલું જ નહિ પણ પરીણિતાના શરીર અસંખ્ય ડામ પણ આપ્યા.આ દરમિયાન પરિણીતાનું મોત થઇ જવા પામ્યું છે. કહેવાય છે કે, ધાર્મિક વિધિના નામે ખંડેર જેવા મંદિરમાં આ પરિણીતાને પરિવાર જ લઇ આવ્યો હતો. અને ભૂવાને તાંત્રિક વિધિ માટે કહ્યું હતું. આમ,વળગાડ અને મેલું તો નીકળતા નિકળ્યું, એ પહેલા મહિલાનો જીવ નીકળી ગયો.
પછાત માનસિકતા-ઘટનાનું કારણ
સમાજનો ગ્રામીણ વિસ્તાર પછાત છે અથવા તો પછાત માનસિકતા ધરાવે છે. ભૂત અને વળગાડ જેવી બાબતોને લઈને સંવેદનશીલ ગ્રામવાસીઓ કહેવાતા ભૂવાનાં વશીકરણમાં સર્વસ્વ હોમી દેતા અચકાતા નથી.ત્યારે, દ્વ્રકા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના આજની માનસિકતાની ચાડી ખાય છે. કઈ સદીમાં જીવતા લોકો આવા શરણે જઈને જીવનું જોખમ વહોરે છે તેનો આ સચોટ કિસ્સો છે. હવે સમગ્ર ઘટનાને લઇને DySP સહિતની પોલીસ વિભાગની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે.અને ભૂવા ઉપરાંત મૃતક મહિલાના પરિવાર સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે .